Wednesday, January 20, 2016

'નદી': ગઝલ વિશ્વમાં છપાયેલી મારી એક ગઝલ

8 જાન્યુઆરી 2016ના રોજ એક જ દિવસ માટે સપ્તકના કાર્યક્રમમાં હાજરી આપવા જતી વખતે આણંદ-અમદાવાદ ઍક્સપ્રેસ વે પર ફોનથી શુભ સમાચાર મળ્યા: ગઝલ વિશ્વના નવા અંકમાં તમારી એક રચના છપાઈ છે. ફોન કરનારે આખી રચના વાંચી સંભળાવતા આનંદ થયો. 15 ફેબ્રુઆરી 2006ના રોજ નામચીન અર્વાચીન કૉલમિસ્ટ જય વસાવડાના 'સુડોકુ' વિશેના લેખના ટેઈલપીસમાં મારા નામે છપાયેલી બે પંક્તિઓ "લાગણી પણ એંઠવાડ થઈ શકે/ હદથી વધુ જો પીરસો પ્રેમ!" એ છાપે ચડવાનો પહેલવહેલો પ્રસંગ. એ પછી મરાઠી ભાષા નહીં બોલવાના મામલે જયા બચ્ચનની હળવી ટિપ્પણી પર શિવસેના અને બચ્ચન પરિવાર વચ્ચે બબાલ થઈ ત્યારે કાંતિ ભટ્ટે ભાષા વિશે એક લેખ લખ્યો હતો. એમાં ઈન્ટરનેટ પર સર્ચ રિઝલ્ટના આધારે ઘેરબેઠાં ભાષાંતરનું કામ કરતા અનુવાદકોમાં એમણે મારી પ્રોફાઈલ જોઈને કેટલાક અનુવાદકો સહિત મારો નામોલ્લેખ કરેલો. એ છાપે ચડવાનો બીજો પ્રસંગ. ચંદ્રકાંત બક્ષીના લખાણોમાંથી એમણે પ્રયોજેલા કેટલાક નૂતન હટકે શબ્દો અલગ તારવવાના કાર્ય માટે મૌલિકા દેરાસરીને મારા અંગત સંગ્રહમાંથી બક્ષીજીના પુસ્તકોનો સૅટ થોડા સમય પૂરતો આપ્યો એનો ઋણસ્વીકાર કરતો ઉલ્લેખ અભિયાનના એક અંકમાં આવેલો, જેમાં મારી સાથે ગાંધીધામના મિત્ર રજની અગ્રાવતનું પણ નામ હતું. એ છાપે (ખરેખર તો મૅગેઝિને) ચડવાનો ત્રીજો પ્રસંગ.એ પછી વલી ગુજરાતી ગઝલકેન્દ્ર દ્વારા પ્રકાશિત અને શ્રી રાજેશ વ્યાસ 'મિસ્કીન' દ્વારા સંપાદિત ત્રૈમાસિક ગઝલવિશ્વના સપ્ટેમ્બર, ડિસેમ્બર 2015ના અંકમાં મારી કૃતિ પ્રકાશિત થઈ છે. રાધેશ્યામ શર્મા સાક્ષરનો સાક્ષાત્કાર શ્રેણી અંતર્ગત દરેક લેખકને એક પ્રશ્ન પૂછતા કે આરંભે કયા સામયિકમાં કૃતિ પ્રકાશિત થવાથી હર્ષની લાગણી જન્મેલી? મારા માટે આનો સત્તાવાર જવાબ એક જ હોઈ શકે: 'ગઝલવિશ્વ'. 

ફેસબુકના મંચ પર સક્રિય હતો એ વખતે સૌથી પહેલાં આ કૃતિ ત્યાં મૂકી હતી તો એમાં મિત્રસૂચિમાં સામેલ મિત્રોની સંખ્યાના અનુપાતમાં બહુ જ ઓછી દાદ મળેલી. પણ એ દાદ દેનારાઓમાં એક અમેરિકાસ્થિત પ્રતિષ્ઠિત કવિ (જેઓ ક્યારેય કોઇ રચનાના ખોટા વખાણ કરતા નથી) પણ હતાં જે કૃતિની ગુણવત્તા વિશે મારો આત્મવિશ્વાસ વધારવા માટે પૂરતું હતું. વિશેષ આનંદ એ વાતનો છે કે ગઝલના છંદ વિષયક પુસ્તકોમાં જે પ્રચલિત છંદો અને એના પરથી બનતી બીજી બહરોના ઉદાહરણો આપ્યા છે એ સિવાયની અલગ જ પૅટર્નમાં ગઝલ લખાઈ અને એનો સ્વીકાર થયો. બેએક મહિનાથી ફેસબુકના મંચ પરથી કાયમી ઍક્ઝિટ લઈ ચૂક્યો છું ત્યારે આ કૃતિ પ્રકાશિત થવાથી એ બાબતે મારી પ્રતીતિ દૃઢ થઈ છે કે ફેસબુક પર કોઇપણ રચનાને મળતી લાઈક-કમેન્ટ્સની અધધધ સંખ્યા અને એ રચનાની ગુણવત્તા હંમેશાં સમપ્રમાણમાં જ ચાલતા હોય એ જરૂરી નથી. પ્રસ્તુત છે સ્કૅન કરેલી પ્રકાશિત રચના અને નીચે ટાઈપ કરેલી રચના: 
(છંદ વિધાન: ગાલગાલગા ગાગા ગાગા ગાગા ગાલગાલગા)


આટલી અધીરી થઈ કોને મળવા જાય છે નદી?
ગાંડીતૂર થઈ કોની સાથે ભળવા જાય છે નદી?

સાંભળ્યું છે કે વિરહાનલથી થઈ ગઈ છે એ બાવરી,
ને ઉપરથી આ વડવાનલથી બળવા જાય છે નદી!

છીછરાપણાનું મ્હેણું માર્યું લાગે છે કોઈએ,
એટલે ગહનતા દરિયાની કળવા જાય છે નદી?

રત્ન-મોતીની વાતો એને પણ લલચાવતી હશે,
એટલે જ તો દરિયા બાજુ લળવા જાય છે નદી!

માછલી મીઠાં પાણીની ખારા જળમાં જીવે નહીં,
ખુદનું મીઠું જળ દઈ દરિયાને ફળવા જાય છે નદી?

ઓગળી જવાનું છે દરિયાના ઊંડાણમાં એણે,
નિજ હયાતી ભૂંસી કઈ ઓળખ રળવા જાય છે નદી?
                                                                            - નેહલ મહેતા

No comments:

Post a Comment