Tuesday, November 11, 2014

માનું ત્યારે કે જનજીવન સાચે જ પડ્યું છે થાળે

માનું  ત્યારે  કે  જનજીવન  સાચે  જ  પડ્યું  છે  થાળે 
જોવા  પામું  પકવાન  કદી  શ્રમિક  ગરીબોના  થાળે 

આ  લોકોનાં  પ્રશ્નોમાં  કોને  પડવાનો  રસ  કોઇ  દિ, 
ખબર  તરીકે  એ  ચમકે બસ ક્યારે અખબાર મથાળે 

જોયો  છે  મેં  ક્યાંક  વિકાસ  ગગનચુંબી કોઇ મકાને, 
કેમ હજી એ આવ્યો જ નથી નીચેનાં એક પણ માળે? 

ફોકટ   જાહેરાતો   તો   બહુ   થાય   ગરીબોનાં  નામે 
કોઇ   કહેશે   કે   શું   આવ્યું  વાસ્તવમાં  એના  ફાળે? 

વાતો   થાય   ગરીબો   બાબત  ઠંડા  શીતળ  ખંડોમાં 
ને  રંક  બિચારાં  શ્રમ  કરતાં  ઊભાં  લૂ  તાપ વચાળે 

ગંદી   ગોબર  કો'  ગટરે  એ  જોખમ  લેતાં  ઊતરતાં 
સ્વચ્છતાના  આ  શિલ્પીઓના  ચરણો કોણ પખાળે? 

બદલાય  નહીં  રીત-રસમ  પોકળ  સરકારી કામોની 
સૌ   દરવાજા   છે   મોકળ   ને  ડૂચા  માર્યા  છે  ખાળે

No comments:

Post a Comment