Friday, August 29, 2014

સોશિઅલ થવા માટેના ફાંફાં અને ચહેરા પર અસલામતીનું ફેશિઅલ

એકવાર એક મજાકિયું ક્વોટ લખ્યું હતું: "મેં બાળલગ્ન કરવાનો ગુનો કર્યો છે. હું બાળપણથી એકલતાને પરણ્યો છું. એક લતા મળી જાય તો એકલતા દૂર થઈ જાય!" (કોઈકે મજાકમાં પ્રત્યુત્તર આપ્યો હતો કે કયા લતાની લતા ચાલશે?)

એકલતા શું છે? બધાથી ઘેરાયેલા રહેતાં હોય અને અલ્પ સમય માટે એકલા રહેવાનું થતું હોય ત્યારે માણસ ડંફાસ મારીને કહી શકે કે મારે એકલા રહેવાનું હોય તો વાંધો ન આવે. પણ આસપાસ કોઈ ન હોય ત્યારે એકલતાનો જે ખાલીપો ઘેરી વળે છે એને દૂર કરવા માટે એકલતાને આનંદદાયક પ્રવૃત્તિઓ વડે કાંતીને એકાંતમાં તબદીલ કરવાનું બહુ ઓછા લોકોને ફાવે છે. જરાક એકલા પડે એટલે બે મિનિટ પણ જંપીને બેસી ન શકતાં અને ધડાધડ ફોન નંબરો ડાયલ કરીને મિત્રો સાથે ગપ્પાગોષ્ઠિ કરીને ખાલીપો પૂરવાના હવાતિયા મારતાં લોકો જોયા છે. દુનિયાના ધારાધોરણો સાથેની વિસંગતતાને કારણે કે પોતાના નમૂનારૂપ વ્યક્તિત્વને કારણે અથવા તો આત્મરતિના અતિરેકને લીધે બીજાને ચાહવાની ક્ષમતા ગુમાવી દેવાને કારણે મોટી ઉંમર સુધી સાથી વિના રહી ગયેલાં લોકોને પોતાનું સર્કલ સતત વિસ્તારવા માટે સંબંધોની સાઈકલને પેડલ મારી મારીને મિત્રવર્તુળમાં ગોળગોળ ફરતાં જોયા છે. પાર્ટીઓ આપી આપીને કે પાર્ટીઓમાં ધાપી ધાપીને આસપાસ કથિત મિત્રવૃંદ ઊભું કરીને સોશિઅલ દેખાવા મથતા લોકોના ચહેરા પર એકલતાના ડરથી જન્મતી અસલામતીનું અદ્રશ્ય ફેશિઅલ થયેલું હોય છે. ઘણાને ઊછળી ઊછળીને મિલનસાર બનવાનો કે દેખાવાનો અતિસાર જેવો રોગ થયેલો હોય છે.

એકલતા શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ એ ખબર નથી, પણ એકલો માણસ ઘણી વાર અનુભવે એ આકુળતાની સાથે એકલતા શબ્દ ભાવનાત્મક સામીપ્ય ધરાવતો હોય એવું મને લાગે છે. સાથ વગરના માણસ માટે એકાકી શબ્દ છે પણ એકલતા અનુભવતા પુરુષને એકાકા નથી કહેતાં. એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના....સાથી વિના, સંગી વિના, એકલાં જવાના...બરકત વીરાણી 'બેફામ'ની સ્વ. દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કરેલી આ રચનાનાં શબ્દો તો જ ખોટાં પડી શકે જો પ્રસૂતિ સમયે જોડિયા બાળકોનો જન્મ થાય અને સપરિવાર ક્યાંક જતી વખતે ગમખ્વાર અકસ્માતમાં બે કે વધુ લોકો એકસાથે મૃત્યુમાં હોમાઈ જાય.  

એકલતાની સ્થિતિ વિશે વિચાર કરતાં લાગ્યું છે કે પોતાના સુખ, આનંદ, મજા માટે જે માણસ બીજા પર જેટલો વધારે નિર્ભર રહે છે એટલો એ અંદરથી વધારે એકાકી હોય છે. મંચ પર કોઈ ગાયક કે અન્ય કલાકારનું પર્ફોર્મન્સ પૂરું થયા બાદ જેમ પ્રેક્ષાગાર ભેંકાર થઈ જાય છે એમ આવી વ્યક્તિની આસપાસની મનોરંજન મંડળી વિખેરાવાની સાથે એના મનમાં એકલવાયાપણું ઘનીભૂત થવા માંડે છે.

વ્હૉટ્સઍપ અને અન્ય મફતિયા સંવાદના માધ્યમો પ્રચલિત ન હતાં ત્યારે એક સરસ એસએમએસ આવ્યો હતો: Maximum time we are going to spend in life is with ourselves. So let us make ourselves as interesting as possible. જે સ્વયંથી સંતુષ્ટ હોય, સારા રસ-રુચિથી પુષ્ટ હોય એની એકાંત સાધનામાંથી જગતને ઉત્તમ વિચારોના પૃષ્ઠ મળતાં રહે છે. 

સોશિઅલ નેટવર્કિંગ સાઈટ્સ એકલતા દૂર કરે છે કે વધારી મૂકે છે? એકલતા દૂર કરવાનો આભાસ આપતી આવી સાઈટ્સનું એક હદથી વધારે વળગણ માણસના જીવનને દર્શનને બદલે બીજાનું ધ્યાન ખેંચવા માટેનું પ્રદર્શન બનાવી દે છે. ઑનલાઈન સ્ટેટસ અપડેટ્સ કે કમેન્ટ્સ કરતી વખતે ઘોડાની જેમ હણહણતી વ્યક્તિઓ રૂબરૂ મળે ત્યારે ગરીબ ગાયની જેમ નિસ્તેજ લાગે એવું બનતું હોય છે. ક્યારેક વર્ચ્યુઅલ મંચની આ આભાસી દુનિયામાંથી બ્રેક લઈને આયાસી દુનિયા સાથેની લિંક પર ક્લિક કરીને રિ-કનેક્ટ થવાની મજા પણ લેવા જેવી છે.

Wednesday, August 27, 2014

નિયમોના બંધન વિશેની એક અછાંદસ કવિતા

તમે નહીં માનો પણ હું બહુ સીધો માણસ છું...
આખી જિંદગી હું નિયમો પાળીને જીવ્યો છું.
લોકો આનંદ માટે પાલતુ પ્રાણીઓ પાળે એમ...

પણ જેમ કૂતરાનો માલિક ખરેખર તો એનો ગુલામ કહેવાય
એમ આ નિયમોએ મને ગુલામ બનાવીને પાળ્યો છે
ગળે વીંટળાયેલા નિયમોના ગાળિયાથી 
મેં મારી વિદ્રોહી ઇચ્છાઓને ફાંસીએ ચડાવી દીધી છે.

આહારના નિયમો, વિહારના નિયમો અને પ્રહારના પણ નિયમો... 
ઉઠવાના નિયમો, રુઠવાના નિયમો, બેસવાના નિયમો ને ક્યાંક પેસવાના પણ નિયમો...
તરવાના નિયમો, ચાતરવાના નિયમો, ખાતરવાના નિયમો, કાતરવાના-વેતરવાના-છેતરવાના નિયમો...
થશે સૌ સારાં વાનાં એવા બહાનાં આપતાં નિયમો...

નિયમો પાળવામાં મારે કોઈ અપવાદ નથી,
અપવાદ નથી એનો અર્થ એ નહીં કે વિખવાદ નથી.

નીતિથી વશ થઈને અને નિયમોથી વિવશ થઈને જીવવા માટે 
મારી અંદર ઊછાળા મારતી ઊર્મિઓના દરિયાને મેં સૂકવી દીધો છે
અને થૂંક ગળી જતા ઉપવાસીની જેમ ગળી જઈને
હૃદયમાં જલતી અસંતોષની આગમાં સ્વાહા કરી દીધો છે.

કઠિયારાએ કાપી નાંખેલા લીલા ઝાડની જેમ
મેં મારી ઇચ્છાઓની લીલી કૂંપળને ટૂંપો દીધો છે
ઝાડને પ્રોસેસ કરીને બનાવેલા કાગળમાંથી
તૈયાર થઈ છે એક નિયમોની નૉટબુક અને ઉપર સંયમનું પૂંઠું
ચીમળાયેલી કૂંપળો અને બાકી રહેલું ઠૂંઠું
નિયમોના નાઇટ્રોજનનું પોષણ મેળવીને
બરછટપણાંના વટવૃક્ષને વિસ્તારે છે. 

દિલાવરીના દરિયાને રદિયો આપીને
ખાબોચિયું સ્વીકારીને બોચિયું જીવન જીવવાનો
સંતોષ હવે મેળવી રહ્યો છું. 

તમને થશે કે નિયમ પ્રમાણે જીવતાં માણસ અને મશીનમાં શું ફેર?
સાચી વાત છે.
હું પણ જરાયે કમસિન નહીં એવા એક મશીન જેવો યાંત્રિક છું
જેની ગતિ અને દિશા સ્થગિત થઈ ગયા છે એવો એક યાત્રિક છું
નિયમની સ્વિચથી ચાલુ અને બંધ થતાં આ મશીન પર
સંયમ અને સદાચારનું 'શીન' (sheen) લાગેલું છે.

નિયમના પાડાનું પૂંછડું પકડ્યું છે તે કેમેય કરીને છૂટતું નથી
હા, તમે બરાબર વાંચ્યું.
યમના પાડાની નહીં પણ નિયમના પાડાની વાત છે
સંયમ-સદાચારના અતિરેકથી જીવનમાં પડેલા ખાડાની વાત છે.

યમ એના પાડા સાથે લેવા આવશે ત્યારે 
બેશક નીચી મુંડીએ ગાયની જેમ જવા તૈયાર થઈ જઈશ.
આખરે હું શું છું?
નિયમો પ્રમાણે કામ કરતું એક મશીન
રાહ જોઉં છું ક્યારે થઈશ જન્નતનશીન !

Wednesday, August 20, 2014

ચંદ્રકાંત બક્ષી અને ઉસ્તાદ વિલાયત ખાન : એક તુલના

10, 15, અને 20... ત્રણેય સંખ્યાઓ વચ્ચે કોઈ કનેક્શન શોધી બતાવો એવું કોઈ કહે તો? ઝાઝી માનસિક કસરત કર્યા વિના કહી શકાય કે ત્રણેયમાં ક્રમશ: 5 ઉમેરાય છે અથવા ત્રણેય 5 વડે વિભાજ્ય કે 5ના ગુણાંકમાં છે. આજ આંકડા ઑગસ્ટ મહિનાની ત્રણ તારીખોના હોય ત્યારે એ સિવિલ સર્વિસ કે અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં પૂછાતા ગાણીતિક કોયડાઓ કરતાં પણ સવિશેષ મહત્ત્વ ધરાવે છે. 10મી ઑગસ્ટ એટલે કવિઓના કવિ શ્રી સુરેશ દલાલની પુણ્યતિથિ, 15મી ઑગસ્ટ ભારતનો સ્વાતંત્ર્ય દિન અને 20મી ઑગસ્ટ એટલે નામચીન અને સદાયે અર્વાચીન રહેવા સર્જાયેલા સર્જક શ્રી ચંદ્રકાંત બક્ષીની જન્મતિથિ. (આવતા વર્ષ સુધીમાં 10, 15 અને 20ની શ્રેણીમાં ખૂટતી સંખ્યા 5, 25 અને 30નું પણ કોઈ કનેક્શન શોધી કાઢીશું.)

નવલકથાકાર હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ સિડની શેલ્ડનની જેમ વાચકોને પાના ફેરવવા માટે વિવશ કરી શકે, પરંતુ વિચારોનો વલોપાત સર્જીને વાચકોને વશ તો બક્ષી જ કરી શકે. વિવશ કરવું અને વશ કરવું એટલો તફાવત બીજા લેખકો અને બક્ષીની કલમ વચ્ચે છે. વિવશ થવામાં લાચારીનો ભાવ ભળેલો છે, વશ થવામાં સ્વયંભૂ ખેંચાણ અનુભવાય છે. 

આજે 20 ઑગસ્ટ 2014નાં રોજ બક્ષીબાબુની 82મી જન્મજયંતિ છે. મારી ઑફિસ કમ અભ્યાસખંડ જેવા ઓરડામાં બારી પાસે ખૂણાનાં એક કાચના કબાટમાં હરોળબંધ ગોઠવાયેલા પુસ્તકો જોઈને બક્ષીબાબુને રોજેરોજ યાદ કરવાનું તો બનતું જ હોય છે પણ એમની જન્મતિથિના આજના સવિશેષ માહાત્મ્યવાળા દિને લખતી વખતે મૂંઝવણ થાય કે બક્ષીબાબુને હવે કેટલી નવતર રીતે નવાજવાના બાકી રહી ગયા છે? કૅમિસ્ટ્રીમાં જોવા મળતાં જલદ કૅમિકલ્સનો ઉપયોગ કરીએ? હાઈડ્રોક્લોરિક ઍસિડ, સલ્ફ્યુરિક ઍસિડ, ઍક્વા રેજીયા (ત્રણ ભાગ નાઈટ્રિક ઍસિડ અને એક ભાગ HCl) જેવા પ્રબળ રસાયણોની ઉપમાઓ એમની કલમને અપાઈ ચૂકી છે. હવે કયા ઍસિડ બાકી રહે છે? ફૉસ્ફોરિક ઍસિડ? ઍસિટિક ઍસિડ? ટાર્ટરિક ઍસિડ? ગગનચુંબી કે ઐતિહાસિક ઈમારતોના નામોનો ઉપયોગ કરીએ? સ્કાયસ્ક્રેપરનો ટૉચનો માળ, ક્યારેય ન કટાતો લોહસ્તંભ કે એવું કંઈક? બારુદ જેવું ગદ્ય સર્જનારા માણસને કયું બિરુદ આપીશું? એલેક્ઝાન્ડ્રિયાની દીવાદાંડી કે ગીઝાના પિરામિડ કે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની મશાલ સાથે જય વસાવડા એમની સરખામણી કરી ચૂક્યા છે એટલે કંઈક નવી સરખામણી કરવી પડે.

રાસાયણિક પદાર્થો, ગગનચુંબી કે ઐતિહાસિક ઈમારતોને જેવા નિર્જીવ પ્રતીકોને બદલે કોઈ વ્યક્તિ સાથે સરખામણી કરવાની હોય તો ચંદ્રકાંત બક્ષીનું વ્યક્તિત્વ મને ઘણાંખરાં અંશે વીસમી સદીના મહાન મરહૂમ સિતારવાદક ઉસ્તાદ વિલાયત ખાન સાથે સમાનતા ધરાવતું હોય એવું લાગ્યું છે.  

25મી માર્ચ 2011નાં રોજ બક્ષીબાબુની 5મી પુણ્યતિથિએ એક સ્ટેટસ મૂક્યું હતું:
Remembering Big B of Gujarat on his 5th Death Anniversary. Man who kept several generations of readers glued to his write-ups with his uncanny & sensational style! What makes me immensely happy is that Bakshibabu shares his months of birth & death with the legendary Sitar Maestro Ustad Vilayat Khan. One is writer, the other is musician...but a striking resemblance of artistic ego, arrogance and the killer attitude!


ઑગસ્ટ 28, 1928નાં રોજ જન્મેલા ઉસ્તાદ વિલાયત ખાન સાહેબે સિતારમાં સૌપ્રથમ વખત ગાયકી અંગનો ઉમેરો કરીને સિતારને 'ગાતી' કરી. દાયકાઓ પહેલાની સિતારની રચના અને આજના સિતારની રચનામાં જે તફાવત છે એનો શ્રેય એમને જાય છે. બક્ષીબાબુએ 1957માં વાચકો આશ્ચર્ય સાથે પ્રસન્ન થઈ જાય અને વિવેચકો સુન્ન રહી જાય એવી નવતર ભાષા શૈલી, વાર્તારેખા અને પાત્રો સાથે ગુજરાતી સાહિત્યમાં ધમાકેદાર પ્રવેશ કર્યો અને આગે સે ચલી આતી સાહિત્યિક પરંપરાનું ભંજન કરીને અપરંપાર નામના મેળવી. ખાન સાહેબના મુખ્ય હરીફ પંડિત રવિશંકર એમ બક્ષીબાબુના મુખ્ય સાહિત્યિક હરીફ સુરેશ જોષી. વિદેશમાં સિતારને લોકપ્રિય કરવામાં પંડિત રવિશંકરના પ્રદાનનો ખાન સાહેબ સ્વીકાર કરતાં, પરંતુ શાસ્ત્રીય સંગીતમાં ઈનોવેશનના નામે નવા નવા બિનજરૂરી રાગોના સર્જન કરતાં પંડિતજીની પ્રયોગખોરી સામેના અણગમાથી એમની મશ્કરી કરવાની તક પણ છોડતા નહીં. ગુજરાતી સાહિત્યમાં ઘટનાલોપથી પરિવર્તનનો પવન ફૂંકનારા સુરેશ જોષીની પ્રતિભા માટે બક્ષીજીને આદર હતો, પરંતુ સામાન્ય વાચકને સમજવી મુશ્કેલ પડે એવી એમની દુર્બોધ પ્રોફેસરી શૈલી પર વખતોવખત પ્રહારો કરવાનું ચૂક્યા નહીં. 

ખાન સાહેબે સંગીત નાટક એકેડમી ઍવોર્ડ અને ભારત રત્ન જેવા સન્માનો ઠુકરાવ્યાં. ભારત રત્ન અગાઉ પંડિત રવિશંકરને મળી ચૂક્યો હતો એટલે રવિશંકરની પહેલાં આ સન્માન મળ્યું હોત તો સ્વીકાર્યું હોત એમ તેમણે કહ્યું હતું. સંગીત નાટક એકેડમી ઍવોર્ડ ઠુકરાવતી વખતે ખાન સાહેબે કારણ આપ્યું હતું કે ઍવોર્ડ નક્કી કરનારી જ્યુરીના સભ્યો એટલા સુજ્ઞ અને સજ્જ નથી કે મારા સંગીતનું મૂલ્યાંકન કરી શકે. બક્ષીબાબુએ પેરેલિસિસ નવલકથા માટે ત્રીજા ઈનામનો અડધો ભાગ ઠુકરાવીને ઈનામ વિતરણ કમિટિમાં ઘૂસી જતાં નાલાયક સભ્યો સામે આક્રોશ ઠાલવ્યો હતો. રણજિતરામ સુવર્ણચંદ્રક પણ નકાર્યો હતો.

ઉત્તમ લેખક ઉપરાંત પ્રખર પ્રવચનકાર બક્ષીબાબુ કહેતાં કે ઑડિયન્સમાં એક વ્યક્તિ એવી હોઈ શકે છે જે મારા કરતાં વધારે જાણકાર અને સમજદાર હોય. હું એને ધ્યાનમાં રાખીને પ્રવચન કરું છું. ખાન સાહેબ કહેતાં કે શ્રોતાઓમાં શાસ્ત્રીય સંગીતના એક કે બે ઊંડા મર્મીઓ હાજર હોઈ શકે છે એમને ધ્યાનમાં રાખીને હું સિતાર વગાડું છું. મૂડ-મિજાજ, ઉદ્દંડતા અને જિંદગીની ઘણી ગતિવિધિઓની સામ્યતાની સાથે બંને દિગ્ગજ કલાકારોનાં જન્મ અને મૃત્યુના મહિના પણ સમાન હોય એ કેવો સુખદ યોગાનુયોગ!
કેટલાક કાયદેસર જન્મે છે. કેટલાક જન્મતારીખો સિદ્ધ કરે છે, કેટલાક પર જન્મતિથિઓ થોપી દેવામાં આવે છે. (પરાક્રમ, પૃ. 131)

Sunday, August 17, 2014

ચંદ્રકાંત બક્ષીના પ્રાપ્ય-અપ્રાપ્ય પુસ્તકો વિશે થોડુંક...

કોઈ ગાયકે આજીવન ગાયેલા ગીતો કે કોઈ અભિનેતાએ આજીવન કરેલી ફિલ્મોનો ચોક્કસ આંકડો નક્કી કરવામાં દુવિધા થતી હોય એ પ્રકારની સ્થિતિ ચંદ્રકાંત બક્ષીના પ્રગટ થયેલા કુલ પુસ્તકો અને ખરેખર પ્રાપ્ય હોય એવા પુસ્તકોની ચોક્કસ સંખ્યા નક્કી કરતી વખતે થતી હોય છે.

નવલકથાઓ, વાર્તાસંગ્રહો, આત્મકથા તથા અલગ અલગ શ્રેણીઓ હેઠળ પ્રકાશિત થયેલાં લેખસંગ્રહો, સંસ્મરણો, પ્રવાસ વર્ણનો વગેરેની સંખ્યા ગણીને એક ચોક્કસ આંકડા પર આવવાની કોશિશ કરી રહ્યો છું. આજથી દાયકા પહેલાં મેં અમદાવાદમાં બુકશેલ્ફમાંથી બક્ષીસાહેબના ઘણાંખરાં પુસ્તકો ખરીદી લીધેલાં, એટલે એમાંથી અત્યારે કેટલાં પ્રાપ્ય છે એ ખ્યાલ નથી, પરંતુ મારા સંગ્રહમાં હોય એ બધા પુસ્તકોના આધારે પ્રાપ્ય પુસ્તકોની સંખ્યા જોઈએ.

26 નવલકથાઓમાંથી 'યાત્રાનો અંત' એ અનુવાદ ગણાવવામાં આવે છે અને આજ સુધી એ પુસ્તક ક્યાંય નજરે ચડ્યું નથી. જાતકકથા, આકાશે કહ્યું અને વંશ જેવી નવલકથાઓ બક્ષીપ્રેમી મિત્ર મૌલિકા દેરાસરીએ સુરતની લાયબ્રેરીમાંથી લાવી આપી જેની મેં તરત ઝેરોક્સ કરીને સ્પાયરલ બાઈન્ડિંગ કરાવીને મૂળ પુસ્તકો પરત કર્યા હતાં. એટલે કુલ નવલકથાઓ 25 છે.

વાર્તાસંગ્રહોમાં કેટલીક અમેરિકન વાર્તાઓ, બક્ષીની કેટલીક વાર્તાઓ, આજની સોવિયેત વાર્તાઓ, 139 વાર્તાઓ ભાગ-1 અને 2 તથા છેલ્લે 2003માં પ્રકટ થયેલી બક્ષીની વાર્તાઓ મળતી નથી. જ્યુથિકા અને પરાજય એવા બે નાટક એમણે લખ્યા છે, એમાંથી કોઈ નાટક મળતું નથી. જીવનવૃતાંતમાં બિપિન આશર અને દક્ષેશ ઠાકરે બક્ષીના સાહિત્ય વિશે લખેલા શોધનિબંધો અપ્રાપ્ય છે. અન્ય ભાષામાં અનૂદિત પુસ્તકોમાં મરાઠી, કન્નડ ભાષામાં આપણને રસ ન હોય એ સ્વાભાવિક છે, પરંતુ હિન્દી અને અંગ્રેજીમાં અનૂદિત થયેલી કૃતિઓમાંથી સરલા જગમોહને કરેલાં લીલી નસોમાં પાનખરના અંગ્રેજી અનુવાદ Lost Illusions સિવાય મને કશું મળ્યું નથી. બક્ષીબાબુનો બીજો એક અનુવાદ 'સુખી હોવું' પણ અપ્રાપ્ય છે. ઇતિહાસ/સંસ્કૃતિ શ્રેણીના પુસ્તકોમાં મેસોપોટેમિયા, ગ્રીસ, ચીન, યહૂદી, ઈજિપ્ત, રોમન વગેરે દરેક સંસ્કૃતિ પરના અલગ અલગ પુસ્તકો મળતાં નથી. પિકનિક, વાતાયન, સ્પીડબ્રેકર અને ક્લોઝ-અપ પણ નહીં.

પ્રકીર્ણ શ્રેણીમાં 1947-1997 : 50 વર્ષમાં સામાજિક વિકાસ અને ચાણક્ય ગ્રંથમાળામાં હિંદુત્વ: દિશા 21મી સદી એ બંને પુસ્તકો પણ દુર્લભ છે. જ્ઞાન-વિજ્ઞાન શ્રેણીના 25 પુસ્તકોમાંથી મારી પાસે 8 હતાં. એ સિવાય લાયબ્રેરીમાંથી આ શ્રેણીના બીજા અગિયાર દુર્લભ પુસ્તકો લઈ આવીને દરેકની ઈ-બુક બનાવી છે. છતાં આનંદ રમૂજ, સ્ત્રી, ગુજરાત સહિતના છ પુસ્તકો હજી ખૂટે છે. બક્ષીબાબુના એ સમયના પુસ્તકોના લેખો મને બીજી કોઈપણ શ્રેણીના પુસ્તકો કરતાં વધારે ધારદાર લાગ્યા છે, એટલે આ છ પુસ્તકો મળી શકે તો સૌભાગ્ય ગણાય.

ચંદ્રકાંત બક્ષીના પુસ્તકો
સંખ્યા
ઉપલબ્ધ પુસ્તકો
નવલકથા
26
25
વાર્તાસંગ્રહ
15
9
નાટક
2
0
જીવનવૃતાંત*
5
3
અન્ય ભાષામાં અનૂદિત
14
1
આત્મકથા
1
1
અનુવાદ
1
0
યુવાનોને સપ્રેમ શ્રેણીના લેખસંગ્રહો
5
5
જીવનનું આકાશ શ્રેણીના લેખસંગ્રહો
7
7
ઇતિહાસ/સંસ્કૃતિ
17
7
ગુજરાત પ્રવાસ
8
8
રાજકારણ
6
6
પ્રકીર્ણ
7
6
ચાણક્ય ગ્રંથમાળા
1
0
જ્ઞાન-વિજ્ઞાન શ્રેણી
25
19
વિકલ્પ શ્રેણી
4
4
નવભારત શ્રેણી
6
6
વાગ્દેવી શ્રેણી
6
6
નમસ્કાર શ્રેણી
4
4
વાતાયન શ્રેણી
4
4
વર્તમાન શ્રેણી
5
5
અન્ય*
15
15
કુલ સંખ્યા
182
141


*ઉપરની યાદીમાં "જીવનવૃતાંત" શ્રેણીમાં 2012ના અમદાવાદના બુક ફેરમાંથી મળેલા દુર્લભ પુસ્તક ચંદ્રકાંત બક્ષી અને મધુ રાયની નવલકથાઓમાં નગરજીવન (લેખક: ગિરિજાશંકર જોશી) અને "અન્ય" શ્રેણીમાં તત્વમ પટેલ દ્વારા સંપાદિત "બક્ષી અને અમે" પુસ્તકોનો મેં સમાવેશ કર્યો છે. આ બંને પુસ્તકો બક્ષીસાહેબના કોઈપણ પુસ્તકની શરૂઆતમાં આપેલી યાદીમાં જોવા નહીં મળે. "બક્ષી અને અમે" પુસ્તક એ "મિસિંગ બક્ષી" પ્રકારનું પુસ્તક છે. મિસિંગ બક્ષીમાં જેમના લેખો મિસ થઈ ગયા હશે એમને આમાં સ્થાન અપાયું હશે એવું ધારું છું.

અન્ય લેખકોએ બક્ષી વિશે લખેલાં જીવનવૃતાંતો, અન્ય ભાષામાં અનૂદિત બક્ષીના પુસ્તકો તથા મિસિંગ બક્ષી, 'બક્ષી અને અમે' જેવા સંસ્મરણો, હિમાદ્રી મહેતાએ જેનું સંકલન કર્યું છે એ સ્ટૉપર, સ્પાર્ક પ્લગ અને એ-બી-સી-થી એક્સ-વાય-ઝી, નરેન્દ્ર પટેલે જેનું સંપાદન કર્યું છે એ "આદાન" અને "પ્રદાન" તથા અન્ય લેખકોએ સંપાદન કરેલાં ઈગો, કહેવત વિશ્વ, ક્લોઝ અપનું સ્માઈલ પ્લીઝ, સ્ત્રી-કવિતા જેવા પુસ્તકો બાદ કરીએ તો 182માંથી અધિકૃત રીતે માત્ર ચંદ્રકાંત બક્ષીએ લખેલાં કુલ પુસ્તકોનો સાચો આંકડો સંભવત: 152 છે, તેથી વિનોદ ભટ્ટે ચિત્રલેખામાં "વાંચવા જેવું" કૉલમમાં એક વખત એવું લખેલું કે "પ્રકાશકો બક્ષીના અવસાન બાદ વધુ પુસ્તકો પ્રકટ કરીને કુલ આંકડો 200 સુધી પહોંચાડવા માંગતા હોય એવું લાગે છે" એ વિધાનમાં અતિશયોક્તિ જણાય છે. નવા સંપાદનો પ્રગટ કરવાને બદલે જે જૂના પુસ્તકો દુર્લભ છે એને બક્ષીબાબુના ચાહક વર્ગ માટે રિ-પ્રિન્ટ કરીને ઉપલબ્ધ બનાવવા જોઈએ.

કાજલ ઓઝા વૈદ્યની એક કવિતાનો અનુવાદ

ગોઠવણ એટલે શું? (કાજલ ઓઝા વૈદ્ય)

આજે મને પહેલીવાર સમજાયું કે ગોઠવણ એટલે શું ?
રંગરોગાન વગરના સંબંધનો ચહેરો
પહેલીવાર ધોધમાર અજવાળામાં
આંખ સામે ખૂલી ગયો !

તું… જાણે સામે કિનારે,
અને, તારી આસપાસ નાચતી
નિર્વસ્ત્ર હકીકતોની ભૂતાવળ…
… આ કિનારે એકલી-અટૂલી હું.
મારા ખિસ્સામાં, મારી અપેક્ષાઓ
અધિકારોનું ચૂંથાયેલું લિસ્ટ…
કહેલા-ન કહેલા,
માની લીધેલા શબ્દોના, લીરેલીરા !
આંખમાં રેતી ને હોઠ પર ઝાંઝવા,

આપણી વચ્ચેના પુલને
ફૂરચેફૂરચા થઈ ઉડી જતો જોઈ રહ્યા છીએ
આપણે બંને – અસહાય !


An Arrangement (Kajal Oza Vaidya)

For the first time I came to know what an arrangement means... 
The face of an uncolored relationship 
bared itself for the first time 
in an incessant illumination. 

You...as if standing on the opposite shore, 
encircled by the dancing ghosts of the naked facts... 
...All alone I am on this side of the shore... 
with a crumpled checklist of hopes and aspirations in my pocket 
with ruins and rubble of the words told, untold and believed ! 
Sand in the eyes and mirage on the lips... 

Both of us are watching helplessly
the bridge between you and me, being blown apart!

Tuesday, August 12, 2014

ચીંથરિયું અખબાર, ખખડધજ, અભિભૂત, પનોતી, બિસમાર અને સપત્ની !

હમણાં પીઢ અને જ્ઞાનવૃદ્ધ રાજકીય સમીક્ષક શ્રી નગીનદાસ સંઘવીએ ચિત્રલેખાના તાજા અંકમાં ચીંથરિયું અખબાર એવો સરસ શબ્દ પ્રયોજ્યો અને સૌરભ શાહના પુસ્તક 'કંઈક ખૂટે છે'ના એક લેખમાં આપણે વર્ષોથી ખોટી અર્થછાયા પકડીને વાપર્યા હોય એવા પ્રચલિત શબ્દોના વાસ્તવિક અર્થો વિશે જાણ્યું તો શબ્દો વિશે થોડી જ્ઞાનવૃદ્ધિ થઈ. 

સંઘવી સાહેબે પ્રયોજેલા શબ્દ ચીંથરિયું અખબારનો સંદર્ભ કંઈક આમ હતો : મોદી-જયલલિતા વિશેની અભદ્ર ટિપ્પણી કોઈ ચીંથરિયા અખબારમાં લખાઈ હોય તો સમજ્યા, પરંતુ શ્રીલંકાના સંરક્ષણ ખાતાની વેબસાઈટ પર આવી ટિપ્પણી મૂકાય એ અક્ષમ્ય છે. ચીંથરિયું લખાણ એટલે ચાલુ, માલ વગરનું લખાણ. આ શબ્દ વાંચતાની સાથે જ એનો અંગ્રેજી સહોદર કહેવાય એવો શબ્દ કે જે મેં રૉબિન કૂકની "સીઝર" નામની એક મૅડિકલ થ્રિલરમાં વાંચેલો એ યાદ આવી ગયો: rag ! પત્રકારિતાના નિમ્નતમ ધોરણો ધરાવતું તિરસ્કૃત અખબાર એટલે રૅગ.

હવે સૌરભભાઈના લેખમાં વાંચેલા શબ્દો જેનું અત્યાર સુધી આપણે ખોટું અર્થઘટન એટલે કે અનર્થઘટન કર્યું છે.

ખખડધજ: શબ્દ સાંભળતાની સાથે જ ખખડી ગયેલું કે ખરાબ કન્ડિશનમાં હોય એવું ચિત્ર ઉપસે, પણ એનો પ્રથમ અર્થ (ખાસ કરીને વૃદ્ધ છતાં) મજબૂત બાંધાનું અને બીજો અર્થ છે: દમામદાર, ભવ્ય. તાજમહેલને ખખડધજ ઈમારત કહો તો બિલકુલ ચાલે.

અભિભૂત: આ શબ્દને આપણે ભાવવિભોરના અર્થમાં વાપરીએ છીએ. સાર્થ જોડણીકોશ પ્રમાણે એનો સાચો અર્થ છે: હારેલું, અપમાનિત. આ શબ્દ વિશે જય વસાવડાએ પણ એમના એક ગુજરાતી ભાષાના લેખમાં લખ્યું છે કે "ભલભલા ખેરખાંઓ એને 'ઇમ્પ્રેસ' થઇ જવાના અર્થમાં જ વાપરે છે. પણ એનો સાચો કોશમાન્ય અર્થ છે:  ગભરાયેલ, તિરસ્કાર પામેલ, અપમાનિત ! ''અભિભૂ'' એટલે કે અપમાનના આ ભૂતકૃદંતનું રૂપ છે ! ભાગો, ભૂત આયા !"

પનોતી: આપણે આ શબ્દને ઘણી વખત જીવનમાં આવતા કપરા સંઘર્ષના કાળ તરીકે વાપરીએ છીએ અને જ્યોતિષ મુજબ ગ્રહોની અવદશા એવો અર્થ પણ છે. જો કે, જેનું એકપણ છોકરૂં મરી ગયું નથી તેવી સ્ત્રીને પનોતી કહે છે. પનોતું એટલે શુભ અને મંગળકારી. જેમ કે દેશનો પનોતો પુત્ર.

બિસમાર અને બિસ્માર: ભાંગ્યાતૂટ્યા જહાજોની સ્થિતિ માટે આ શબ્દ ઘણી વાર વાંચ્યો હશે. સ તોડીને મ સાથે જોડ્યા વિનાનો જે બિસમાર શબ્દ છે એનો અર્થ છે વિસ્મૃત, વિસારી મૂકેલું. પણ અર્ધઅક્ષર તરીકે 'સ'ની સાથે મ જોડીને 'બિસ્માર' લખીએ તો આ શબ્દનો એક અર્થ આવો થાય છે: પાયમાલ; ભાંગીતૂટી ગયેલું; હાલહવાલ થઈ ગયેલું. 

સપત્ની: કોઈકને આમંત્રણ આપતી વખતે ઉત્સાહથી બોલાઈ જતું હોય છે કે, 'તમે અમારે ત્યાં સપત્ની આવજો.' સપત્ની એટલે શોક્ય અથવા પતિની બીજી પત્ની! પત્નીની સાથે આવજો એવું કહેવું હોય તો સાચો શબ્દ છે: સપત્નીક. 

Sunday, August 10, 2014

કાવ્યવૃષ્ટિ: સમગ્ર સુરેશ કાવ્યોનો સંપુટ, ભાવકો માટેનો અખૂટ અન્નકૂટ !

હાસ્યલેખક વિનોદ ભટ્ટને કોઈએ પૂછ્યું હતું કે તમે કવિ કેમ ન થયા? વિનોદ ભટ્ટે જવાબ આપ્યો હતો કે પોતે જીવદયામાં માને છે. ભાગ્યેશ જ્હાએ બીઆરટીએસ બસમાં કોઈ અમદાવાદીને કહ્યું કે હું કવિ છું તો અમદાવાદીએ જવાબ આપ્યો કે, "હું બહેરો છું." સરળતાથી ગુનાની કબૂલાત ન કરાનારા રીઢા ગુનેગારોને ઢોર માર મારવાથી જે અસર થતી નથી એ ઘણી વાર ગુજરાતી ફિલ્મો બતાવીને અથવા કવિતાઓ સંભળાવવાથી થાય છે અને એ તરત ગુનાની કબૂલાત કરી લે છે. કવિતાની વાત આવે ત્યારે કેટલાંક ગમ્મત કરાવે એવા અને કેટલાંક ગમગીન કરે એવા જાતજાતના ટૂચકાં ફરતાં હોય છે. 

ઑગસ્ટનો મહિનો એટલે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો મહિનો. ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે બીગ બી બક્ષીબાબુની જન્મતિથિ અને 2012માં 10મી ઑગસ્ટે શબ્દલીન થયેલાં કવિ સુરેશ દલાલની પુણ્યતિથિનો મહિનો.

આખેઆખી નવલકથા વાંચી જતા ઘણાં વાચકો મધ્યમ કદનો કાવ્ય સંગ્રહ પૂરો વાંચવાની તસદી લેતા હોતા નથી, ત્યારે 600થી વધારે પાનાનો મોટો ગ્રંથ હોય અને એ પણ ત્રણ ત્રણ ભાગમાં હોય ત્યારે આખો કાવ્યસંગ્રહ વાંચવાનું મન થઈ શકે? જવાબ છે હા, provided that અથવા બશર્તે એ કવિતાઓ સુરેશ દલાલની હોય તો. જુરાસિક પાર્કનો પહેલો ભાગ જોયા પછી બીજો ભાગ જોવાનું મન થાય અને બીજો ભાગ જોયા પછી ત્રીજો ભાગ ક્યારે રિલીઝ થાય અને જોઈ આવીએ એવી તાલાવેલી જાગે. (આમાં દરેક જણ પોતપોતાને ગમતી ફિલ્મોની ત્રિપુટી ઉમેરી શકે.) એ જ રીતે 1966થી 2013 સુધી સુરેશ દલાલની સમગ્ર કવિતાઓનો સંપુટ 3 ભાગમાં કાવ્યવૃષ્ટિ તરીકે પ્રકાશિત થાય ત્યારે પહેલો ભાગ વાંચ્યા પછી બીજો અને બીજો વાંચ્યા પછી ત્રીજો ભાગ વાંચવાની તાલાવેલી જાગે જ.

કહેવાતી ક્રિએટિવિટીની કોહવાઈ ગયેલી ગાયોનાં આંગળીના વેઢે ગણી શકાય એટલાં મર્યાદિત આંચળના પ્રતીકોને દોહી દોહીને ફાટેલા દૂધ જેવી દોઢડાહી કવિતાઓ કર્યા કરતાં જીવાત જેવા કવિઓની જમાતમાં સુરેશ દલાલ એક સુખદ અપવાદ છે. એ તમને સરાબોર કરશે, બોર ક્યારેય નહીં કરે. એમની કવિતામાં વાચકોની બે-ચાર દાદ વધારે મેળવવા પરાણે ઘૂસાડેલાં વજનદાર શબ્દોનું જોર નથી માટે એમના સરળ શબ્દો ઝકઝોર કરે છે. કમ્પલ્ઝિવ કવિઓની જેમ એ રચનાઓ માથે મારીને ટૉર્ચર કરતા નથી બલકે અદીઠાં અને અનૂઠાં વિચારોની અંધારી ભૂમિમાં ટૉર્ચ ફેંકીને ભાવકના મનમાં અજવાસ ફેલાવે છે. એમની કવિતાઓ લૂસલૂસ ખાઈ લેવામાં આવતા જંક ફૂડ જેવી નથી. એને શાંતિથી ચાવવાની છે, પચાવવાની છે. અને આ કવિતાઓમાંથી પસાર થયા પછી એ વાચકોને હચમચાવવાની છે એ પણ નક્કી છે.

ગુજરાતીમાં બેસી શકે એવા બધા જ શ્રેષ્ઠ શબ્દપ્રાસના કૉમ્બિનેશનનો સુરેશ દલાલે ઉપયોગ કરી લીધો છે. આ બ્લૉગમાં મારા પરિચયમાં મેં લખેલું કે નિજાનંદ માટે લખતો હોઉં છું પરંતુ પ્રતિભાવો માટે વલખતો હોઉં છું. એ વખતે મનમાં એમ હતું કે લખવું અને વલખવું શબ્દોનો પ્રાસ મારા સિવાય કોઈએ બેસાડ્યો નહીં હોય, પરંતુ કાવ્યવૃષ્ટિના એક કાવ્યમાં આ જ પ્રાસ વાંચ્યો ત્યારે મારી માન્યતાના ભુક્કા થઈ ગયાં. સુરેશભાઈ જાણે મલકીને કહેતા હોય કે, "બેટા, તુમ જિસ સ્કૂલ મેં પઢે હો વહાં કે હમ પ્રિન્સિપલ રહ ચુકે હૈ!" 

કાવ્યવૃષ્ટિ ભાગ 1, 1966થી 1986

કાવ્યસંગ્રહમાં શું શું છે એના કરતાં શું શું નથી એવો પ્રશ્ન વધારે થાય છે. Suresh Dalal, an enormously talented poet, has practically and tactically covered almost every subject under the sun in his anthology of poems. બક્ષીબાબુએ પુરુષની ખડતલ છાતીને પાણી પાણી કરતા તડકા વિશે કવિતા લખી છે. સુરેશ દલાલ મધુર કોમળ મલયનો લય લઈને વહેતા રાતના સમય વિશે વાત કરે છે. બક્ષીનો તડકો વેકેશનમાં બેંચો પર થાકીને સુસ્તાય છે, સુરેશ દલાલનો રાતનો સમય રાતરાણીની સોડમાં સૂઈને મ્હેકતો રહે છે. બક્ષીનો તડકો તળાવના પાણીની ઉપર ટુકડે ટુકડે તરતો રહે છે, સુરેશ દલાલનો રાતનો સમય શહેરની કાળી સડક ઉપર ઊજળો થઈને ફરે છે ! બંને કવિતાઓની સરખામણીનો સ્નૅપશોટ નીચે જુઓ :


ફ્લૅટ વિશેની આધુનિક કવિતામાં એ પૈસેટકે સુખી અને સભર પણ લાગણીઓની બાબતમાં નીંભર જેવા માણસની જીવનશૈલી પર પ્રહાર કરતા લખે છે કે :


ફ્રિજના પાણી વિના છીપે નહીં મારી તરસ....ને એરકન્ડિશન્ડ વિના ઊગે નહીં એક દિવસ... આ નવું એક્વૅરિયમ... ડાઈનિંગ ટેબલ પર હમણાં અમારી વાતનો એક જ વિષય... જો કે, હજી નક્કી નથી કે મૂકશું કઈ સાઇડ પર...જોઈને આ માછલી?.... જોઈને આ માછલી...કોણ જાણે કેમ પણ યાદ આવે છે મને ટાઈપિસ્ટ-ગર્લ ઑફિસની જે કૅબિનમાં ને કારમાં એવી ખીલે.... 


પાણિપત કવિતામાં ઉજાગરો વેઠીને બીજે દિવસે ઑફિસે જવા માટે નિત્યક્રમ પતાવતાં રઘવાયા માણસની સંવેદના સરસ રીતે વ્યક્ત થઈ છે. તો "આ શહેરમાં" શીર્ષક હેઠળ લખે છે: એવી સિફતથી શબ અમે ઢાંકી દીધું, કૈં ખબર પડતી નથી કે કાય આ છે કે કબર?


પંખી વિનાના ઝાડની વેદનાને વર્ણવતા કહે છે:


પંખી વિનાના ઝાડને જોતાં પાંદડાં પીળાં લાગ્યાં,
ફૂલના ચ્હેરા સાવ ઉદાસીન વીલા વીલા લાગ્યા ! 

ડંખ્યા કરે ક્યારનો મને વેદનાનો એક વીંછું
પાંખની મળે છાંય જો મળે ગીતનું કોમળ પીંછું

પંખીનો ટહુકો ઘણીયે વાર મને ગીતનો ઉપાડ આપે છે એવું કવિ કહે છે. મેડિકલના છાત્ર જેમ શબનું ડિસેક્શન કરે એમ એક એક શબ્દને ખોલીખોલીને જોતાં કવિને એની ભીતર વરસાદમાં ભીંજાયેલા તૃણ જેવું અને સાંજ ઢળ્યા પછી પંખી વિનાના આકાશ જેવું પારદર્શી મૌન મળે છે. કવિ પ્રભુને પ્રાર્થના કરતા ઘૂઘવતા જળની વચ્ચે ઊભેલા ખડક જેવું મૌન માંગે છે.

'કાગળના કિલ્લામાં' કવિતામાં એક સરસ પંક્તિ આવે છે:

આરસનું પંખી અહીં ફેલાવી પાંખ.... કરે ઊડવાનો કેવો અરે ચાળો,
રૂના આકાશની છાયામાં આપણો....ભાંગેલી ડાળ ઉપર માળો.

"આંખ" કવિતામાં સુરેશભાઈની આંખ કેવા કેવા અવલોકન કરે છે? આંખને ઊંબરે ડુંગરા ઊભેલા દેખાય છે, તો સાથે સાથે સાતે સમંદર પણ ઘૂઘવતા દેખાય છે. આંખમાં કોતર અને કંદરા પણ છે, આભ અને વસુંધરા પણ છે! આંખમાં શંકા છે, તો રાવણની લંકા પણ છે અને આંખમાં કાદવની સાથે ગંગા પણ છે!

જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ ત્યારે શું થાય છે? કવિના મતે પ્રેમ કરીએ છીએ ત્યારે સૂર્ય આથમતો નથી અને રાત ઊગે છે! દીવાલોમાંથી સમુદ્ર ઘૂઘવે છે અને રેતી સુકાતી નથી! આસપાસ અરીસા ગોઠવાય છે અને પ્રતિબિંબ દેખાતું નથી! આપણે ત્યાં જ હોઈએ છીએ અને રસ્તો ચાલે છે!

'અર્થ શીર્ષકની કવિતાની એક પંક્તિ જુઓ:

મોટી મોટી કરેલી પ્રેમની વાતો ઊંઘમાં સરકતી રાતની જેમ વિલાઈ જાય છે
અને નાના નાના કરેલા ઉપકારો બપોરના તડકાની જેમ ઉઘાડા ફરે છે !

ફેસબુક પર ઘણી શેર થયેલી એક કવિતાની પંક્તિ પણ અદભુત છે:

કંઈ કેટલાં નામનો ઊછળે મારે આંગણ દરિયો:
એમાં એક જ નામ તમારું નાવ થઈને મ્હાલે!

સંબંધ વિશે પિષ્ટપિંજણ કરતાં લાંબાલચક લેખો લખતાં કટારલેખકો-લેખિકાઓ કરતાં સુરેશ દલાલની કવિતાઓ થોડામાં ઘણું કહી જતી હોય છે:

આવે તેને આવવા દઉં: જાય તેને નહીં રોકું:
આપણો અહીંનો સંબંધ એ તો નીંદ પહેલાંનું ઝોકું!

વણમ્હોરેલા ફૂલની ભરી છાબડી ખાલી ખાલી:
આવ્યા વિના આંખમાંઆંસુ પાંપણ જાય પલાળી.

શમણાંની અહીં સરતી રહેતી આવે રે સૂની પોઠ;
ઝાકળભીનાં લોચનિયાં ને અવાક મારા હોઠ.

દિવસ મારો બ્હાવરો ફરે: સળગે શીતળ રાત:
ગગનમાં અહીં કણસે કાળું, કથળેલું પરભાત!

જાય તેન કહું 'આવજો' અને આવતાને કહું 'આવ';
બેય બાજુની તટની વચ્ચે ઝૂરતી રહે નાવ!

એકબીજામાં રસ રહ્યો ન હોય એવી વ્યક્તિઓ વિશે કવિ કહે છે: 

આપણે એકમેકને એટલા વધુ પડતા ઓળખીએ છીએ કે આપણને એકમેકમાં રસ રહ્યો નથી.
બુઝાઈ ગયેલી મીણબત્તીને સળગાવવા માટે હવે અંધકાર પણ ક્યાં છે?

બપોરને સમયે ઝળહળતા શો-કેઈસ પાસે આપણે વિન્ડો શૉપિંગ કરતાં હોઈએ એમ ઊભાં રહ્યાં છીએ... જાણે કે કશું પણ ચૂકવ્યા વિના... !

એક કવિતામાં કવિ દાવો કરે છે કે શબયાત્રા જેની નીકળી નથી એવા સંબંધોનાં મડદાં મેં જોયાં છે!

કવિતાને ધારદાર બનાવતી ઉપમાઓની સુરેશભાઈ પાસે ખોટ નથી. કોઈની યાદ જાણે ચકરાવો લેતાં પંખીની જેમ આપણાં ફરતે વીંટાતી હોય એવી કલ્પના એક કવિતામાં વ્યક્ત થઈ છે. બીજી એક કૃતિમાં સ્મૃતિને એકમેકની અલગતાને એક કરતો સેતુ ગણાવ્યો છે.

'આજ ને આજ' કવિતામાં તાજમહેલ બંધાવ્યા બાદ જીવનના અંતિમ સમયમાં આગ્રાના કિલ્લામાં કેદ થયેલા મુઘલ બાદશાહ શાહજહાંની વ્યાકુળતા આબાદ વ્યક્ત થઈ છે:

તાજની છાયામાં સાથે બેસી, સ્મિત સજીને ફોટા પડાવતાં પ્રેમીઓને જોઈને લીલા અંગુર જેવી મુમતાઝની આંખમાં યમુના થીજી ગઈ છે. 

શરદ પૂનમે પથ્થરો પવનની જેમ પાગલની જેમ ભટકતાં ભટકતાં બબડે છે: 'આજ ને આજ તાજને તોડી નાખો: તાજને તોડી નાખો!'

'મારું ભાગ્ય' કવિતામાં કવિ લખે છે:

વિચારોના કુરુક્ષેત્રમાં 
મારા પુરુષાર્થનો રથ 
ભાંગીને ભુક્કો થઈને પડ્યો છે!
કૃષ્ણની વેણુ જો સાંભળવી હોય તો 
રાધાની વ્યાકુળતા અનુભવવી પડે 
કે 
કૃષ્ણની વાણી સાંભળવી હોય તો 
અર્જુનનો વિષાદયોગ અનુભવવો પડે 
એ હકીકત 
હું કેમ ભૂલી જાઉં છું?
કૃષ્ણ ત્યારે જ ચીર પૂરવા આવે 
જો મારામાં પ્રકટે 
દ્રૌપદીની નિ:સહાય ચીસ. '
સેફ'ના ખાનાના અંધકારમાં પડેલા 
વિધવાના મંગળસૂત્રની જેમ 
મારું ભાગ્ય કણસે છે!

'સાથે મળીને એકલા ગાવાનું ગદ્ય અને વાંચવાનું ગીત' ત્રણ પાનામાં ફેલાયેલું છે અને માણસની જિંદગીમાં ખખડતાં ખતરનાક ખાલીપાનું કાવ્ય છે. માણસ લગ્નમાંથી ઉઠમણામાં અને ઉઠમણામાંથી લગ્નમાં એક ખંડમાંથી બીજા ખંડમાં જતો હોય એવી આસાનીથી જઈ શકે છે એમ કવિ કહે છે. રવિવારના રમકડાંને શનિવારથી ચાવી આપતો માણસ 'વીક એન્ડ'નો મહિમા કરે છે. પ્લાસ્ટિક જેવા સિન્થેટિક માણસને બાળવા માટે લાકડું કે ચંદન નહીં પણ નાયલોન જોઈશે એવું કહીને કવિ મરી પરવારેલી લાગણી પર સખત કટાક્ષ કરે છે. પ્લાસ્ટિકના આદમ અને નાયલોનની ઈવમાં જીવ નથી અને બંનેનો પ્રેમ પ્લાસ્ટિકનો અને શોક નાયલોનનો છે.

'અકારણ' કવિતામાં કવિ જીવનનો મર્મ સરસ આપે છે:

આપણે તો અહીં તરતા રહેવું માછલીઓની જેમ;
કોઈને નહીં કારણ કહેવાં, પૂછવું નહીં કેમ?

સાહજિકતાથી જીવવાનો મહિમા વ્યક્ત કરતી આવી જે એક અન્ય કવિતા 'સ્વબોધ'માં કવિ લખે છે:

આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

ફૂલની જેમ ખૂલવું 
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું.

મૂગા થઈને સ્હેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું!
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું.

લેવુંદેવું કાંઈ કશું નહીં: કેવળ હોવું: એ જ તો રહેવું,
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

'એક અનામી નદી' કાવ્યસંગ્રહમાં આવા જ મતલબના એક કાવ્યમાં કવિ લખે છે:

કોઈને માટે કશું ન હોય,
રાગ-દ્વેષ કૈં તસુ ન હોય!

આપણે તો બસ ચાલતા રહેવું,
પંખી જેવા પાંદડાની જેમ
સાવ લીલાછમ મ્હાલતા રહેવું,
ક્યાંય ગુફા કે પશુ ન હોય,
કોઈને માટે કશું ન હોય. 

'કુરુક્ષેત્ર' કાવ્યમાં કવિ આપણી અંદર જ સારાઈ અને બુરાઈ બંનેનો સંગમ થયેલો છે એવું કહે છે:

તું કૌરવ, તું પાંડવ: મનવા! તું રાવણ, તું રામ!
હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ !

કદી હાર કે જીત: કદી તું તારાથી ભયભીત;
કદીક પ્રકટે સાવ ઓચિંતું સંવાદી સંગીત,

ભીષણ તું તાંડવમાં: મંજુલ લાસ્ય મહીં અભિરામ
તું કૌરવ, તું પાંડવ: મનવા! તું રાવણ, તું રામ!

ફૂલથી પણ તું કોમળ ને તું કઠોર જાણે પ્હાણ;
તું તારું છે બંધન મનવા! તું તારું નિર્વાણ !

તું તારો શત્રુ ને બાંધવ: તું ઉજ્જવલ: તું શ્યામ!
તું કૌરવ, તું પાંડવ: મનવા! તું રાવણ, તું રામ!

ક્યારેક કોઈ પરિસ્થિતિ વિશે વાંચીને હૈયું દ્રવી ઉઠે અને તત્કાળ કવિતા સૂઝી આવે એવી કવિતા સિચ્યુએશનલ પોએટ્રી કહેવાય છે. 1971માં બાંગ્લાદેશના મુદ્દે ભારત-પાક. યુદ્ધ અગાઉ પૂર્વ બંગાળમાં થયેલા હત્યાકાંડ અંગે સહાનુભૂતિ દર્શાવવા એક કાર્યક્રમમાં ભેગા થયેલા કવિઓ વિશે 'થયા આપણે ભેગા' કાવ્ય સુંદર રજૂઆત કરે છે. 

શબ્દની આંખે શબને જોવા થયા આપણે ભેગા
પીંખાઈ ગયેલા માળા જોવા થયા આપણે ભેગા
ભરબપ્પોરે થયાં જેમનાં મોત અભાગી દિવસે
એને છાણે ખૂણે રોવા થયા આપણે ભેગા.

પ્યુબર્ટીના સમયમાં છોકરા છોકરીને ફૂટતી યુવાનીની જેમ કવિને કેટલી સહજતાથી ગીત ફૂટે છે:

તરણાંની જેમ મને ફૂટે છે ગીત અને ઝરણાંની જેમ જાય વહેતાં,
હરણાંની જેમ એ તો ભટકે છે બ્હાવરાં ને કહેવાનું કાંઈ નથી કહેતાં.

સામાજિક પ્રાણીનાં ગીતમાં કવિ સમાજનાં સળિયામાં પૂરાયેલા માણસના ચટાપટાળા દિવસો પિંજરપૂર્યા વાઘની જેમ આંટા મારતા હોવાનું કહે છે. 

સંબંધ વિશેની બીજી એક વેધક કવિતા વાંચો: 

આખી રાત પડેલા વરસાદના
ગંદા પાણીમાં ન્હાતાં
ઝૂંપડપટ્ટીનાં નાગાં બાળકો
જેવો
આપણો સંબંધ
છબછબિયાં કરે છે.
તડકો ઊઘડશે ત્યારે 
એકઠા થયેલા કાદવને
આપણે જોઈ શકશું ખરા?

કવિને 'મધ્યમવર્ગી આકાશ'માં ગઈ કાલનો આથમેલો સૂર્ય ઘરના હિસાબની ડાયરીમાં શાહીનું ટપકું થઈને પડેલો જણાય છે. આજે ગજવામાં રૂમાલનું ઓશીકું કરીને ટૂંટિયું વાળીને પડ્યો છે. આવતીકાલે પહેલી તારીખના પગાર, મકાનના ભાડાં, દૂધ-છાપા-કપડાંના બિલો વચ્ચે ફેરફૂદરડી ફરીને પાછો શાહીનું ટપકું થઈને હિસાબની ડાયરીમાં પડ્યો રહેશે. 

પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વરબદ્ધ કરેલાં બે ગીતો પણ આવે છે: (બંને ગીતો પર ક્લિક કરવાથી Tahuko.com પર સાંભળી શકાશે)



'અનુભૂતિ' કાવ્ય મૃત્યુ સામે માણસની લાચારી વ્યક્ત કરે છે. મૃત્યુ આવે ત્યારે દોરાધાગા, માદળિયાં, તાવીજ, બાધાઆખડી, માનતા, સત્યનારાયણ, શ્રીનાથજી કશું કારગર નીવડતું નથી. પ્રત્યેક પથારીમાં જીવનની આબરૂ અને મૃત્યુનું રૂ રહેલું છે. મરણપથારીએ પડેલાં દોસ્તની નિ:સહાયતાનું વર્ણન કરતાં લખે છે કે હજી એના સંતાનના ખભા પર નિશાળનું દફતર લટકે છે, સ્કૂલબસમાં જતો છોકરો હાથમાં દોણી લઈને સ્મશાને કઈ રીતે જઈ શકશે? મૃત્યુના ભિડાયેલા હોઠમાં પોલાદી સંકલ્પની સખ્તાઈ છે.

'થોડાંક સપનાં, અઢળક ભ્રમણા' જેવી દીર્ઘકાવ્યમાં કવિ લખે છે: તારા પ્રેમપત્રો વાંચું છું, મરેલા માણસની કુંડળીને કોઈ જ્યોતિષી વાંચતો હોય, એમ! પ્રેમ વિનાની સ્મૃતિને સાચવી રાખવી એ વેશ્યાવૃત્તિને માંડવે લઈ જવા જેવી વાત છે.

'ધુમાડાની ગાંઠ છૂટે નહીં, તૂટે નહીં'માં સિગારેટ સાથે માણસની સરખામણી જુઓ: 

માણસને મોઢામાં મૂક્યો સિગારેટની જેમ,
અને સળગી ઊઠી જન્મની ક્ષણ-
પછી તો માત્ર ફૂંક અને ધુમાડા,
અને સ્મશાન...
વિરાટ ઍશ-ટ્રે!  

મૃત્યુ વિશે એક જગ્યાએ કવિ લખે છે:

મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.
શબ પર ફૂલ મૂકીએ છીએ 
એ પહેલાં
હૃદયમાં પથ્થર મૂકવો પડે છે.

जो लोग जिंदगी की सख़्त हकीकतो से डर गये....वो लोग अपने मौत से पहले ही मर गये...એવી શાયરી ક્યાંક વાંચી હતી. મૃત્યુ પામતાં પહેલાં જ મરી ગયેલા માણસના કાવ્યમાં સુરેશ દલાલ કહે છે હું પોતે જ મારા પોતાના પ્રેત સાથે, વેરણછેરણ હેત સાથે અને અશુભ સંકેત સાથે જીવું છું. દિવસ આખો શબવાહિની જેવો લાગે છે. શહેર આખું સ્મશાન જેવું ભાસે છે ત્યારે તૂટેલા અરીસાઓને પ્રેતની જેમ પોતાનો પ્રાણ ક્યાં છે એવો સવાલ પૂછ્યા કરું છું. જન્મ થયા પછી જાણે કે જન્મ્યો નથી અને મૃત્યુ પામતાં પહેલાં હું મરી ગયો છું.

મહાભારત સાથે જીવનની સરખામણી કરતાં કાવ્ય 'બધાં જ હાંફે છે'માં કવિ લખે છે:

લોખંડની વિરાટ પેટી જેવા મુંબઈમાં
મારી માતાએ
મને કાળના પ્રવાહમાં વહેતો મૂકી દીધો છે.
સૂર્યના તેજ વિનાનો હું કર્ણ
વારસો ભોગવું છું
વિષાદના ગઠ્ઠા જેવા લોખંડનો.

તો 'રામ વિનાનું રામાયણ'માં કવિ કહે છે: ટ્રેનના કમ્પાર્ટમેન્ટ્સ જેવા ચહેરામાં સળિયાવાળી બારી જેટલી પણ મોકળાશ નથી.

શબ્દમાંથી માન અને અપમાનના ઝેરની કોથળી કાઢી લઈએ તો શબ્દ છેવટે સાપને બદલે ઈયળ બનીને રહી જાય એવી અદભુત કલ્પના 'અપેક્ષા નથી હોતી' કાવ્યમાં વ્યક્ત થઈ છે. એ જ કાવ્યમાં કવિ આગળ લખે છે: ઈશુનો વધ થયો અને અમે સાવધ થયા!

'એમ તો માણસ સમજુ છે' રચનાનો એક અંશ જુઓ:

સવારના સૂરજની કેવી અવહેલના 
કે કૂકડો પણ 
ઍલાર્મ-ક્લૉક મૂકીને સૂઈ જાય !

પંખીઓ આકાશમાં ઊડવાની ના પાડશે
તો હવે શું કરીશ 
એ ચિંતામાં ઈશ્વરને અલ્સર થયું છે.
ડામરની સડક જેવા આકાશમાં
શું ટૅક્સીઓ દોડાવવાની અને રેલવેના પાટાઓ જડાવવાના?

પ્રાર્થના વિશે કવિ કહે છે કે લાચારીને કારણે જોડાઈ ગયેલા હાથ એ પ્રાર્થનાનો દેખાવ છે, પ્રાર્થના નથી. 'એક સરોવર ઝૂરે છે' કૃતિમાં કવિ આકાશને પંખીઓની શૂન્યતાનું ઍરપોર્ટ કહે છે.

'આ રાત પછીનો દિવસ'ના કેટલાંક શબ્દો જુઓ:

હાથમાં 
મરેલા સસલા જેવો દિવસ લઈને 
રાતે હું પાછો વળું છું
- શિકારનો સંતોષ મેળવી.
જય સંતોષી મા!

ખુલ્લંખુલ્લા તરીને
સ્વિમિંગ પુલને કૅબરે બનાવી મૂકતી સ્ત્રીઓને જોઈને
સમુદ્રની માછલીઓ બ્રા અને નીકર
કેમ નથી પહેરતી?
એવું કોણ પૂછે છે મશ્કરીમાં?

નરસિંહ મહેતાના વૈષ્ણવજન તો તેને રે કહીએ ગીતની કેટલીક પંક્તિઓને કવિએ વીસમી સદીના માણસના એકરારનું સ્વરૂપ આપીને કટાક્ષમાં ઝબોળીને કેવી રીતે લખી છે એ જુઓ:

સફળ લોકમાં સહુને વંદું 
નિષ્ફળની કરું નિંદા રે.
રૂપિયા પછીનાં વ્હાલાં લાગે 
એક પછી એક મીંડા રે.

તૃષ્ણા પરસ્ત્રી જેવી વ્હાલી 
મનના મેલા અમે મવાલી

જીભને જુઠ્ઠાણાનો મહિમા, 
જુઠ્ઠાણાને નહીં કોઈ સીમા
પારકું ધન પોતીકું લાગે, 
ઊંઘવાનું ઓશીકું લાગે.

મોહમાયાની મૈત્રી એવી 
કે રંગરાગ તો મનમાં છે:
રાવણનામની તાળી લાગી 
બટરની ગંગા તનમાં છે.
ગટરની ગંગા મનમાં છે.

બૅન્ક લૂંટવાનો લોભ ભર્યો છે
અમે કપટના નફ્ફટ કાજી;
કામ-ક્રોધના કુંડ મઝાના
ચારે બાજુ હાજી-હાજી!

એન.મહેતાનું ભજન કર્યું છે
અવળું એની માફી માગું
વીસમી સદીમાં જીવું છું રે
એની તો હું આ ફી માગું.

કુળ એકોતેર બોળ્યાં છે.
જીવન અમે તો ડહોળ્યાં છે.
રાગ સમાજ ને તાલ છે ચાલુ.
જીભ પર છે જુઠ્ઠાં જરદાળુ.

બાપુનું વ્હાલું ભજન
વૈષ્ણવ જન...વૈષ્ણવ જન - 
એનું હવે લાગે છે વજન
- લાગે છે વજન.

તરેહ તરેહના વિષયો ખેડનાર સુરેશભાઈ પાસે શૃંગાર રસનું વર્ણન કરવાનો પણ કેવો કસબ છે એ 'ગમે છે' રચનામાં જોવા મળે છે:

અમસ્તી અમસ્તી અમસ્તી ગમે છે,
સ્તનોની સુંવાળી આ વસતી ગમે છે.

સ્તનોના ઊછળતા આ દરિયાની ઉપર
તરે ચંદ્ર એવી આ કિસ્તી ગમે છે

જરી હાથ મૂકું અને આ થયું શું?
મને તારી છાતી ઊપસતી ગમે છે! 

21 ઑક્ટોબર 1979નાં રોજ 'લોકશાહી આમ તો જીવે છે!' શીર્ષક હેઠળ લખેલી કવિતામાં કવિએ લોકશાહીની એ વખતની સ્થિતિ પર જે કટાક્ષ કર્યો છે એ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.

ભાંગી ગયેલા ભારતના રથનાં પૈડાંનું
ગોળ રૂપિયામાં રૂપાંતર કરીને
ચૂંટણીમાં મત ખરીદીને
ગાંધીજીની ખાદીને કાળાબજારમાં વેચીને
એમના રેંટિયાનું લિલામ કરીને
એમના સત્યાગ્રહને અને સૂત્રોને
બજારુ સ્ત્રીની જેમ ચાવીને
રાજઘાટને જાણે કે રેડલાઈટ એરિયામાં
ફેરવી નાખીને
લાલ કિલ્લા પર
પંદરમી ઑગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરીએ
ધ્વજવંદનનો મુજરો કરીને
હિંદુસ્તાનના નક્શાને
ચોળ્યો છે, ચૂંથ્યો છે
ડૂચો કરી મૂક્યો છે.
ચીંથરેહાલ થયેલા હિંદુસ્તાનના નક્શાને
નપુંસક ભાષણોથી
કે ગાંધીજી અને જયપ્રકાશની તસવીરથી
હવે સાંધી નહીં શકાય
એટલું પણ
કેમ નહીં સમજાતું હોય
અમારા સંતાનપ્રેમી નેતાઓને!

અહીં ક્યાંય ધર્મક્ષેત્ર નથી
અહીં કોઈ કૃષ્ણ નથી
પાંડવ નથી
સત્તાના તાંડવમાં
અહીં તો બધા જ કૌરવો.
પાંચ પતિએ અનાથ
દ્રૌપદી જેવી લોકશાહીનાં વસ્ત્રો
અનેક પક્ષો ખેંચી રહ્યા છે
પોતાની નગ્નતાને ઢાંકવા.

લોકશાહીની આસપાસ
તાપણું કરીને બેઠેલા નેતાઓનો
કેમ્પ-ફાયર
શી દશા કરી છે એમણી ગાંધીટોપીની?!
ભારતની આબરૂની રક્ષા કરે
કે એના ગૌરવને વધારે
એવી આ ટોપી રહી છે જ ક્યાં?
નેતાઓ ચૂંટણીનો મહાસાગર તરવા માટે
આ ટોપીને અવળી કરીને
હોડી તરીકે વાપરે છે.

એમને રસ છે
પોતાને મળે એ કિનારામાં.
આ ટોપીનું ભિક્ષાપાત્ર કરીને
તેમાં મત ભેગા કરે છે.
આ ટોપી જાદુઈ ટોપી છે 
ગાંધીજીની લાકડી પર
આ ટોપીને લટકાવીને
સુદર્શન ચક્રની જેમ ફેરવતાં આવડે છે આ નેતાઓને
આ નેતાઓ...
કૃષ્ણના સુદર્શન ચક્રને
હવાઈ ચકરી જેવું કરી મૂકે
એવા આ નેતાઓ!
એમને માટે પ્રજા
એ માણસ નહીં
પણ હાંકવા માટેનાં ઘેટાંઓ,
એમને વ્હાલાં છે
પોતાનાં દીકરી જમાઈ અને બેટાઓ.
પ્રજા આમ તો વ્હાલી છે:
પણ આંગળીથી નખ
છેટા હો તે છેટા હો.

લોકશાહી મરી નથી ગઈ, એટલું જ.
એને બધા જ રોગો થયા છે:
એનું બી.પી. નૉર્મલ નથી
પલ્સનું ઠેકાણું નથી
સેરેબ્રલ હેમરેજ થયો છે
લોકશાહીને.
લોકશાહી પાસે
હવે અસલની વાચા નથી
એની આંખ પણ ગઈ છે
સ્મૃતિ નથી રહી
લોકશાહીને.
ઘાસપાનની જેમ જ
પડી રહી છે લોકશાહી.
લોકશાહી આમ તો જીવે છે
વચનોમાં
પ્રવચનોમાં
બચી જશે એવા આશ્વાસનોમાં

શંકા કાવ્યમાં કવિની શોધમાં નીકળેલા શબ્દોને સુરેશભાઈ સ્કૉટલૅન્ડ યાર્ડના કૂતરા સાથે સરખાવે છે. 

વિ-સંગતિ કાવ્યમાં કવિ રામાયણ જેવા મહાકાવ્યમાં લક્ષ્મણરેખા, સુવર્ણ મૃગ, લંકા, રામ, લક્ષ્મણ, ભરત વગેરે પાત્રોને આ રીતે વ્યાખ્યાયિત કરે છે:

મારી ચીસ મારા કાન સુધી પહોંચે એવી
લક્ષ્મણરેખા મેં દોરી છે.
સુવર્ણ મૃગ - એ તો ભરમીલી આંખોએ કરેલી છાનીછપની ચોરી છે.
લંકા બળે છે ત્યારે મારી અયોધ્યા પણ દાઝે છે.
રામ, લક્ષ્મણ, ભરત, રાવણ - એ નરનાં સ્વરૂપ
સીતા, કૈકેયી, મંથરા, કૌશલ્યા - એ નારીનાં સ્વરૂપ
હનુમાનને એક જ સ્વરૂપ: રામનું - રામના નામનું
વાનરમાં વિભિન્નતા નથી હોતી
વાનરને વિકલ્પો નથી હોતા.

આ જ કાવ્યમાં લાગણી મૃત્યુ પામે છે ત્યારે શું થાય છે અને સાચો પ્રેમ કેવો હોઈ શકે એ વિશે કવિ ફોડ પાડે છે:

લાગણી મૃત્યુ પામે છે પછી
માણસ જ્યારે
સંબંધોમાં ખુલાસા કરે છે ત્યારે
એ બધાં લાગણીનાં ચૂંથણાં લાગે છે
લાગે છે નર્યો વેશ્યા જેવી બુદ્ધિનો પ્રપંચ
સડક પર પડેલા મરેલા ઉંદરને
ચૂંથતા કાગડાની ચાંચ જેવો.
સાચો પ્રેમ ખુલાસાથી પર છે
શબ્દ નહીં પણ અનુભવ છે
ઘાસમાં આળોટતી ચાંદની જેવો.

કવિ-લેખકને શબ્દનું મમત્વ હોય છે, શબ્દોનું વળગણ હોય છે, શબ્દોનું ગળપણ હોય છે, અને શબ્દો સાથે એને સગપણ હોય છે. ત્યારે સુરેશભાઈ એક જગ્યાએ લખે છે:

બધી જ વાતને શબ્દમાં મૂકવાના સ્વભાવને તારે છોડવો પડશે, મારા દોસ્ત!

ભાવની તીવ્રતા એ શબ્દથી પર હોય છે.
ભાવની તીવ્રતાનો અનુભવ હોય છે મૌનના ગર્ભાશયમાં
શબ્દ તો અનુભવનો પડછાયો પણ નથી.
અનુભવ તો અનુભવમાં જ જન્મે છે અને ત્યાં જ મૃત્યુ પામે છે
શબ્દ તો અનુભવની છાયાસૃષ્ટિ : માયાસૃષ્ટિ!

શબ્દોમાં વહી જતી લાગણી વિશે કવિનું શું કહેવું છે?

શબ્દોમાં વહી જાયે લાગણી: જેમ પાણી અહીં વહી જાયે નીકમાં
બોલે ને તોય એ તો કાંઈ કશું કહે નહીં: હું તો મૂગો છું બોલકાની બીકમાં ! 

ગુજરાતીમાં અનેક કવિઓએ માછલીને કેન્દ્રસ્થાને લખી ઋજુ સંવેદનાઓ પ્રગટ કરતાં કાવ્યો લખ્યા છે. (આમાંથી કોઈપણ કવિ નૉન-વેજ ખાતી વખતે માછલી ઑર્ડર નહીં કરતો હોય!) ઍક્વેરિયમની માછલીને દરિયો અને માછીમારની જાળ મિસ કરે છે એવું કવિ આ રીતે કહે છે:

માછલી વિના દરિયો ઝૂરે, માછલી વિના જાળ;
કાચની કોમળ દીવાલ કરે માછલીની સંભાળ. 

'ગાઈ નાખવાનું ગીત' વાંચતા લાગે છે કે હવે માણસજાતે પ્રેમ વિશે નાંહી નાખવાનું છે:

પ્રેમ હવે પલટાતી મોસમમાં છે,
રતિ અને કામદેવ મ્યુઝિયમમાં છે.

માણસ તો પ્લાસ્ટિકની ટૅન્ક તોપ જેવા,
I love you શબ્દો હવે લોલીપોપ જેવા;
લાગણી તો મૈથુનની ચ્યુઈંગમમાં છે,
રતિ અને કામદેવ મ્યુઝિયમમાં છે.

લોહી-માંસ-ફીણ ફીણ: Venusને ત્રાસ
Cupidનો stupidની સાથે મળે પ્રાસ;
રાસ હવે કૅબરેની ધામધૂમમાં છે,
રાધા અને કૃષ્ણ હવે ફિલ્મમાં છે.

'છેવટે' કૃતિમાં અલગ રસ્તે જવાનું પસંદ કરતાં યુગલની વાત સરસ વ્યક્ત થઈ છે:

છેવટે આપણે છુટ્ટાં, સાજન! છેવટે આપણે છુટ્ટાં
સાચાબોલો સમય અને હોઠ તો આપણા જુઠ્ઠા

કેટલી બધી રાતો
ને કેટલી બધી વાતો

આપણા બધા શબ્દો: જાણે મન-સરોવર સુક્કાં
છેવટે આપણે છુટ્ટાં, સાજન! છેવટે આપણે છુટ્ટાં.

યાદ તો આવે, જાય
અને કાંઈ કશું નવ થાય

ધીમે ધીમે ઊખડી ગયા લાગણીઓના બુટ્ટા.
છેવટે આપણે છુટ્ટાં, સાજન! છેવટે આપણે છુટ્ટાં

'મહોબતના મુજરાનું ગીત' લગ્નની સામાજીક પ્રથાના નામે ચાલતા પ્રેમના દંભ પર પ્રહાર કરે છે. કાવ્યમાં લગ્નના નાટકથી કંટાળીને પુરૂષ નિખાલસતાથી એકરાર કરે છે કે પોતે શયનખંડમાં વસ્ત્રો ઉતાર્યા છે પણ નગ્ન થયો નથી. જ્યાં સુધી મનનાં વસ્ત્રો ન ઊતરે ત્યાં સુધી લગ્ન થતાં જ નથી. પોતે નિરાધાર ન થાય અને એકલતા ન પીડે એવા ભયને કારણે જ લગ્ન કર્યા હોવાનું કહે છે. કાવ્યમાં સંતાનોને જાડી જાડી વાસનાનાં ખરબચડાં કંતાનો, વૃદ્ધાવસ્થાના પગલૂછણિયાં, આપણા અહંના વંશનો વિસ્તાર ગણાવવામાં આવ્યા છે. લગની અને અગ્નિ વિનાના નર્યા દેખાડાવાળા લગ્નમાં ધુમાડા સિવાય કંઈ બચ્યું નથી એવી હતાશા વ્યક્ત થઈ છે. પ્રેમ વિશેના જ અન્ય એક કાવ્યમાં કવિ પ્રેમને આંગળીઓના રોજેરોજ વધતા જતા નખ સાથે સરખાવીને ભય પ્રગટ કરે છે કે ક્યાંક એ પોતાને જ ફાડી ન ખાય!

લગ્નની 'ગોઠવણ' પર પ્રહાર કરતું 'આલબમ' શીર્ષકનું બીજું એક કાવ્ય જોઈએ:

એક સરસ ઘરની અંદર બે જણા ખરાબ રીતે ઝઘડે છે. સવારના 
પહોરમાં ક્રૉકરી ઉત્તમ, વાતો મધ્યમ, અધમતાને આરે પહોંચતી 
હોય એવી. વ્યક્તિઓની વાતોમાંથી નિંદાકૂથલી. સામસામે કાદવનો ગારો. 

પછી બન્ને નોકરીએ જાય, સંતાનો સ્કૂલમાં, નોકરો માટે ડ્રૉઇંગરૂમ 
બાથરૂમ, શયનખંડ, ફ્રીજ, પંખાની હવા, ઍરકન્ડીશનર, ફોન... 
કૉમ્યુનિકેશનની પરાકાષ્ઠા. 

સાંજે બધા ડાઈનિંગ ટેબલ પર ટોળે વળે, કોઈને કોઈનામાં રસ નહીં. 
ધૂંધવાયેલો ક્રોધ. બૅકગ્રાઉન્ડમાં મ્યુઝિકનો ધોધ. અવારનવાર 
થતી ડીનર પાર્ટીના મૃગજળથી પ્યાસ છિપાવવાનો હરણિયો પ્રયત્ન. 

રાતના સેક્સી મૅગેઝીનની સોડમાં. સિંહ અને સિંહણ ઉંદરની બોડમાં. 
કોણ જાણે કેવા કરમાયેલા કોડમાં એકમેકને કરડે, ફૂંકે, ફકે. 
જીવનમાં આમ ટકે, લટકે, છકે. સવારના પહોરમાં કમાન છટકે. 

ઘડિયાળ બંધ, ઘડિયાળ ચાલુ. કંકોતરી, રિસેપ્શનના ફોટા, 
લગ્નનું આલબમ, ફાટી ગયેલા પૂંઠાં, લગ્નનો અગ્નિ થીજી ગયો છે 
અને રિસેપ્શનનું આઈસ્ક્રીમ આગ...આગ... 

એક આલબમની અંદર બે જણ ગોઠવાયેલા, ઘવાયેલા. સંતાનો, બીજી પેઢી... 

એની પાસે પણ હશે એક સરસ ઘર, લગ્નના આલબમની બીજી આવૃત્તિ...

ગુજરાતી સાહિત્યમાં મા વિશે લગભગ દરેક લેખકે લખ્યું જ હોય એવું જ મુંબઈનું છે. મુંબઈ વિશે જ્યોતીન્દ્ર દવે, ચંદ્રકાંત બક્ષી, નિરંજન ભગત, અશ્વિની ભટ્ટ, તારક મહેતા સહિતના ઘણાં લેખકોએ પોતપોતાના અવલોકનો વિશિષ્ટ શૈલીથી રજૂ કર્યા છે. નિરંજન ભગતે એમના પ્રસિદ્ધ કાવ્યમાં મુંબઈને પુચ્છ વિનાની મગરી ગણાવ્યું હતું. સુરેશભાઈ શું કહે છે એ જોઈએ:

મુંબઈ મીટર ચડ્યા કરે એ ટૅક્સી છે, મુંબઈ સેક્સ વિના પણ સેક્સી છે, મુંબઈ નાગું છે ઉપર જો કે મૅક્સી છે, મુંબઈ એ શ્રીમંત ભિખારીઓની ઍર-પોર્ટ પરની ગૅલૅક્સી છે, મુંબઈ હડકાયું હિપ્પી છે, સલામતીખોર જિપ્સી છે, હમણાં હમણાં મુંબઈને રાસદાંડિયાની ઘોંઘાટિયા ગાંડિયાની ખુજલી છે, ખણસ છે; મુંબઈ રાવણના માથા જેવું મોટુંમસ છે. સરસ છે, ભઈ આ મુંબઈ સરસ છે. 

અહીં ફૂલ ફ્લાવરવાઝમાં ઊગે. નવી કવિતાની રીતે કહેવું હોય તો કહી શકીએ કે અહીં ફૂલમાં ફ્લાવરવાઝ ઊગે. સમડી ને બાજ ઊગે. લાઉડ-સ્પીકર્સના અવાજ ઊગે. અહીં પંખાની હવામાં વસંત વાય. અહીં ઍરકન્ડીશન્ડમાં શિશિર થાય. કાંઈ નહીં આવે ને બધુંય જાય. મુંબઈ કાદવનો ગારો છે અને આરસની ફરસ છે. મુંબઈ ટ્રેજડી છે, ફારસ છે, મુંબઈ પ્લાસ્ટિકિયા સિફારસ છે. અહીં કશું હેમખેમ નથી. અહીં કશું એમનેમ નથી. ખાંસી ખાઈને ધ્યાન દોર્યા કરે એવી મુંબઈ ન અટકે એવી ઉધરસ છે. આ એક નવો રસ છે. અહીં બધું આસપાસ ને અરસપરસ છે. સરસ છે. ભઈ આ મુંબઈ સરસ છે. 

આપણે કોણ છીએ, આપણા અસ્તિત્વનો હેતુ શું છે અને આ દુનિયામાં કેમ આવ્યા છીએ આવા દાર્શનિક પ્રશ્નો ઘણાંને થતાં હોય છે. 'હું કોણ છું' કાવ્યમાં કવિ જાતની ઓળખ મેળવતા કાંટાળા પ્રશ્નો કરે છે:

હું ગયા જનમના કોઈ પુસ્તકનું
છૂટું પડી ગયેલું પાનું છું?
કે આવતા કોઈ જન્મની
અધૂરી હસ્તપ્રત છું?
હું માતાપિતાના પ્રેમનું 
કે વાસનાનું કે બન્નેનું
બહાનું છું?
હું કોણ છું?

હું આ જ શહેરમાં શા માટે
હું આ જ ઘરમાં શા માટે?
આને બદલે કોઈ બીજું શહેર હોત, \
કોઈ બીજું ઘર હોત
તો કોઈ ફેર હોત? 

મારી કુંડળીનો માલિક કોણ?
કે પછી કુંડળી જ મારી માલિક?
કોણે ગોઠવ્યા છે ગ્રહો એના ખાનામાં?
પાંચમાં સ્થાનમાં શુક્ર, ગુરુ, કેતુ
એનો કયો હેતુ?
ચોથા છઠ્ઠા અને સાતમા સ્થાનમાં
મંગળ, સૂર્ય, બુધ.
આ બધું આ જ અને આવું કેમ?  - હું અબુધ.

નીચેની એક કાવ્યપંક્તિનો અંગ્રેજીમાં અનુવાદ કરવાની લાલચ રોકી શક્યો નથી:

તારે શા માટે લાવવું જોઈએ કાવ્યનું પુસ્તક કે ગુલાબ?
તું પોતે જ છે મારે માટે મારાં નહીં લખાયેલાં કાવ્યોની કિતાબ

Why should you bring a book of poetry or a rose?
For me you are a book of my unwritten poetic prose ! 

આજે તત્કાળ ટેકનોલોજીકલ કનેક્ટિવિટીના જમાનામાં માનવો વચ્ચે સંપર્ક તો છે, પણ દિલથી દિલને જોડી શકે એવો સંવાદ નથી. કવિ રતિલાલ 'અનિલ'નો એક શેર છે:

નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો, 
‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો!

માણસોની આછકલાઈ અને વ્યક્તિત્વની પોકળતા જોઈને આવું જ કંઈક અશરફ ડબાવાલા કહે છે:

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં? 
એક વેંત ઊતરો ત્યાં તો તળિયું આવે !

મળવા જેવા માણસની ખોજ કરી રહેલા સુરેશભાઈ કહે છે:

ક્યાં છે મળવા જેવા માણસ?
આંખોમાં, વાતોમાં જોઉં છૂરી, કરવત, કાનસ!

એક ફૂલની ફોરમ પાછળ લીલા લીલા સાપ;
શાંત સરોવર તળિયે જોયો સૂરજનો સંતાપ.

સહજીવન ને સહવાસની પોકળ બધી સિફારસ.
હસી કાઢીને નિભાવવાનું કરુણતાનું ફારસ

નિષ્ફળ માણસ અને સફળ માણસ જેવા તદ્દન વિરોધાભાસી વિષયો પર પણ સુરેશભાઈ કેટલી અદભુત હથોટીથી એકસરખો ન્યાય આપી શકે છે, એ બન્ને કાવ્યો વાંચવાથી સમજાશે:

હું એક નિષ્ફળ માણસ છું

આત્મહત્યા કરવામાં સફળ ન થયો તે ન થયો

નિષ્ફળ માણસની વાત સાંભળવામાં તમને રસ પડશે ખરો?

નિષ્ફળ માણસની વાતો
સફળ માણસો સાંભળતા નથી હોતા
સફળ માણસોને તો પોતાની ઘાસ જેવી વાતને
બહેલાવી બહેલાવીને બગીચો રચવાની
ડંફાસની આવડત હોય છે
આદત હોય છે.
નિષ્ફળ માણસની વાતને
બીજો નિષ્ફળ માણસ સાંભળતો નથી
કારણ કે એની વાતમાં એને માટે કશું નવું નથી.

હું દેવાદાર છું
પૈસે ટકે ખુવાર છું
આ સમાજમાં પૈસાદાર માણસો જ સફળ ગણાય છે
પત્ની પણ સમાજનો જ એક અંશ છે
સંતાનો પણ સમાજનો જ વંશ છે
તમે ઘરે કેટલા રૂપિયા લાવો છો એના પર જ
પિયા પિયા કે સાંવરિયાનાં સંબોધન હોય છે
આશ્લેષ ને આલિંગન હોય છે અને સંવનન હોય છે
પત્નીની લાગણી પણ ખરીદવી પડે છે
સંતાનોને પણ 
બાપ શું લાવે છે કેટલું લાવે છે
એની બરાબર સમજ પડે છે
આ બધી વાત મને નડે છે, કનડે છે.

આમ તો મારા ઘરમાં
કલર ટી.વી. છે, ફ્રીજ છે
લાગણી નામે એક નિર્જીવ ચીજ છે
બારી પર પડદા છે
પણ એ પડદા મનની આબરૂને ઢાંકે એવા નથી.
નિષ્ફળતાનાં બોર કોઈ શબરી ચાખે એવાં નથી.
પૈસા સિવાય અહીં કોઈ કોઈને માપે એવા નથી.
પૈસો હોય તો આપણા શબ્દોને કોઈ ઉથાપે એવા નથી.

પત્નીનો ભાઈ વેલ્થટૅક્સ ભરે છે
પત્નીની બહેનપણીનો વર ડાયમંડ મર્ચન્ટ છે
પત્નીના મામા મિલિયોનેર છે
પત્નીના કાકા કરોડપતિ છે
આ બધાની સરખામણીમાં હું કાંઈ નથી
પત્ની આમ તો મને કશું કહેતી નથી
પણ આસપાસના બધા માણસો
કેટલા બધા સફળ થયા છે
એ કહ્યા વિના પણ
એનું મન છાનું રહેતું નથી
પૈસો ન હોય તો આ જીવવાનો કોઈ હેતુ નથી
બે માણસ વચ્ચે સમજણનો સેતુ નથી

થાય છે કે હું સ્મગલર થાઉં તો સારું
હું વલ્ગર થાઉં તો સારું
પૈસાને કારણે થોડો કલ્ચર થાઉં તો સારું
પણ ન સ્મગલર થયો
ન વલ્ગર થયો
ન કલ્ચર થયો
મારા જેવો એક આદમ, - દમ વિનાનો
કેવળ અલ્સર થયું.

સ્મગલર થયો હોત તો
વેલ્થનો વલ્ગર શો કરી શક્યો હોત
ઑનરશિપનો 30 લાખનો ફ્લૅટ
લઈ શક્યો હોત
પૃથ્વી ઉપર સ્વર્ગનો નશો કરી શક્યો હોત
કુટુંબને વૅકેશનમાં
જાપાન, જર્મની, હૉંગકૉંગ, સિંગાપોર, યુરોપ, અમેરિકા ફેરવી શક્યો હોત,
ડૉલર, રૂપિયા, રૂબલ્સ, પાઉન્ડ, લીરામાં ભેરવી શક્યો હોત
પાકેલા ફળની જેમ ઝાડ પરથી લાગણીને ખેરવી શક્યો હોત
પણ આપણામાં ત્રેવડ નથી
બાપના વાવેલા રૂપિયાના વડ નથી
માથું અને ધડ નથી
રૂપિયા આવશે એવા નસીબના સગડ નથી
જેટલી આપી શકાય એટલી સગવડ નથી
ડાયમંડના દગડ નથી
લંચ અવર્સમાં કોઈને શીશામાં ઉતારી શકાય એવી પકડ નથી
મારી પાસે નથી એટલા બધા છે કે થોડાક છે -નો પણ છેદ ઊડી જાય છે
ચહલપહલ આનંદના મેદ ઊડી જાય છે.

પૈસો હોય તો તમારો પરસેવો પરફ્યુમ લાગે
પૈસો ન હોય તો તમારો પસીનો પણ ગટરનું પાણી છે
આ વાતને મેં અનુભવથી પ્રમાણી છે
મારું નસીબ 
એ કૂવામાં ઉતારેલી બાલદી છે
પણ બાલદીની કૂખ કાણી છે
નસીબ હોય તો કૂવો દરિયો લાગે
અને બાલદીની દોરી વરમાળા લાગે
નસીબ વિના
શયનખંડનાં એક એક ફૂલ કાળી જ્વાળા લાગે
મારી વાતને મારી ગરીબીની જેમ હું લંબાવી શકું એમ છું
પણ આ વાત કે ગરીબી લંબાવવા જેવી નથી
જિંદગી ટૂંકાવવા જેવી છે
હું જિંદગીને ટૂંકાવવા ગયો પણ એમાં નિષ્ફળ ગયો
આત્મહત્યામાં પણ હું સફળ ન થયો
કારણ કે હું નિષ્ફળ માણસ છું

હવે સફળ માણસનું કાવ્ય જોઈએ:


લોકો કહે છે હું એક સફળ માણસ છું.

સફળ માણસો ભોળા નથી હોતા.

એક દોસ્તે તો ત્યાં સુધી કહ્યું,
કે સફળ માણસો ભ્રષ્ટાચારથી મુક્ત નથી હોતા.

માણસ કદી વ્યાખ્યામાં બંધાતો નથી
માણસ કદી વિશેષણથી સંધાતો નથી.
સફળતા અને નિષ્ફળતા
જિંદગીની કિતાબમાં બહુબહુ તો
હાંસિયામાં લખવા જેવી વાત છે.

મને જિંદગીને ખાનામાં ગોઠવવી ગમતી નથી.
સફળ નિષ્ફળ ગરીબ શ્રીમંત
લોકપ્રિય સ્વભાવશત્રુ...
આ બધા ખાનાંઓ છે.
માણસને ઓળખતાં નથી હોતાં છતાંયે
માણસને ઓળખીએ છીએ એવા
દાવાઓ અને બહાનાંઓ છે.

સમાજની સફળતાની વ્યાખ્યાઓ
સગવડથી હરીભરી હોય છે.
સમાજ નામનું એક યંત્ર છે,
એ યંત્રમાં તમે સ્ક્રૂ થઈને ગોઠવાઈ જાઓ,
ક્યાંય કશો આક્રોશ કે વિરોધ કરો નહીં
તો સમાજ પોતાની સફળતા ખાતર
તમને સફળ માણસ તરીકે ઓળખાવશે.

હા, હું સફળ માણસ છું.
મુંબઈ જેવા શહેરમાં રહીને પણ
કવિતા સાથે નાતો રાખવો 
એ એક સફળતા જ ગણાય.
મને સફળ કહેનારા માણસોને
હું કવિતાથી જીવું છું એમાં રસ નથી;
પણ કોઈ કવિ કફ પરેડ પર રહે એનું આશ્ચર્ય છે.
કફ પરેડ પર રહેનારો માણસ પણ 
ભીતરથી યક્ષ હોઈ શકે:
રામગિરિના આશ્રમોમાં ભટકતો હોય એવો.
લોકોને બહારના પોશાકમાં જેટલો રસ હોય છે
એટલો ભીતરના એક્સ-રેમાં નથી હોતો;
અને ભીતરના એક્સ-રે આપણે જ જાળવવાના હોય છે.
જહાંગીર આર્ટ ગૅલેરીમાં એનું પ્રદર્શન ભરવાનું નથી હોતું.

લોકો તો બહારથી તમને માપે છે,
અંદરથી તમને શાપે છે,
તમારા પર ચોકીપહેરાની નજર રાખે છે.
તમે ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ છો.
છાશવારે દિલ્હી, કલકત્તા, બેંગ્લોર
ઍર-બસમાં દોડો છો,
એ બધાંને આધારે એક સર્ટિફિકેટ ફડાય છે
કે તમે સફળ માણસ છો,
અને સફળ માણસો ભોળા નથી હોતા.

મને કોઈ ભોળો કહે એમાં સ્હેજ પણ રસ નથી.
હું તો પ્રામાણિકપણે માનું છું કે કવિઓ ભોળા નથી હોતાં.
કવિઓ ભોળા હોય એ તો એક રોમેન્ટિક કન્સેપ્ટ છે.

શું વ્યાસ ભોળા હતા? જેમણે મહાભારત રચ્યું,
એ વ્યાસને ભોળા કેમ કહેવાય?
કવિ તો દુનિયા અને દુનિયાદારી બંનેને જાણે.
શું વાલ્મીકિ ભોળા હતા?
એ તો રામ અને રાવણ બંનેને જાણે.

નથી હું વ્યાસ કે નથી હું વાલ્મીકિ
નથી હું ટાગોર કે નથી હું ઉમાશંકર
અને છતાંયે હું 'હું' છું
એનું જ મને ગૌરવ છે.

મેં પણ મારી રીતે દુનિયાને જાણી છે.
ક્યારેક મારા હૃદયમાં વૃંદાવન રચાયું છે 
તો ક્યારેક મારા હૃદયમાં કુરુક્ષેત્ર.
ભલેને રામાયણ ન લખ્યું હોય, 
પણ ક્રૌંચવધની વ્યથા અનુભવી છે.

જ્હૉન બેરીમેન કે સિલ્વીયા પ્લાથની જેમ
મેં આપઘાત ભલે ન કર્યો હોય
પણ હું પણ ઘણી વાર અનુભવું છું
કે Dying is an art.

મને પણ ઘણી વાર એમ થાય છે
કે મારે મારા મરણનો યશ
મરણને ન આપવો જોઈએ, 
પણ મારે કર્તા થવું છે.

મને તો ઘણી વાર એવું લાગે છે
કે હું મરણ પાસેથી 
ઉછીના દિવસો લઈને
જીવી રહ્યો છું.
મારી ઇચ્છા પ્રમાણે હું મરી શકું
તો તમે મને
સફળ માણસ કહેજો.

મારી ઇચ્છા પ્રમાણે 
હું જીવી તો નથી શક્યો
પણ સમાજની ઇચ્છા પ્રમાણે જીવું છું. 
અને આ રીતે જીવતા માણસને તમારે
સફળ કહેવો હોય તો
મને કશો વાંધો નથી.

અલગ અલગ વિષયોને ન્યાય આપતાં કાવ્યો ઉપરાંત સુરેશભાઈએ બ.ક.ઠાકોર, કાન્ત, રાવજી પટેલ, ઉમાશંકર જોશી, વેણીભાઈ પુરોહિત, વ્હિટમન, હરીન્દ્ર દવે અને રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્ય સર્જન પર ઓવારી જતાં અને એમને વધાવતાં કાવ્યો પણ લખ્યાં છે. આ લેખમાં સમાવી ન શકાયેલી અન્ય અસંખ્ય મર્મવેધી કવિતાઓ વિશે લખવાનો મોહ જતો કરીને અહીંથી અટકવું પડે છે. સુરેશભાઈને બીજી પુણ્યતિથિએ ભાવભીની અંજલિ !