Tuesday, August 6, 2013

"અખિલેશ" બ્રહ્માંડમાં ભ્રષ્ટાચાર જૂજવે રૂપે અનંત ભાસે

રેતીની ખાણોમાંથી ગેરકાનૂની રીતે રેતી ખોદી કાઢતાં ઉત્તર પ્રદેશમાં સેન્ડ માફિયા પર કડક કાર્યવાહીની પસ્તાળ પાડનાર આઈએએસ ઑફિસર દુર્ગાશક્તિ નાગપાલને સસ્પેન્ડ કરીને ઉત્તર પ્રદેશ સરકારે એક પ્રામાણિક અધિકારીની કારકીર્દિની ઘોર ખોદી નાંખી. સુવર્ણ ચતુર્ભુજ હાઈવે બાંધકામ પ્રોજેક્ટમાં ગોલમાલ સામે લડવાની જુર્રત કરીને 2003માં મોતને વ્હાલું કરનાર સત્યેન્દ્ર દુબે હોય કે લોકપાલ બિલ માટે આંદોલન ચલાવીને ક્રાંતિનો ક્ષણિક જુવાળ ફૂંકીને ગુમનામીની ગર્તામાં પાછા ધકેલાઈ ગયેલાં અન્ના હજારે હોય, સિસ્ટમમાં ભ્રષ્ટાચારની સર્વવ્યાપકતા સામે મેદાને પડનારાં મુઠ્ઠીભર વ્હીસલબ્લોઅર્સની સિસોટીનો તમરાં જેવો તીણો અવાજ સમય જતાં ઝીણો થઈને પછી શાંત પડી જાય છે. વ્હીસલબ્લોઅર્સને બદલે રણશિંગું ફૂંકનારા રણશિંગાં બ્લોઅર્સ પણ આવે તો પણ રાજકારણીઓની જાડી ચામડી અને નઘરોળપણાં અને નફ્ફટાઈ સામે કોઈનું કશું ઉપજતું નથી. ભ્રષ્ટાચાર સામે ક્ષણિક ફૂંકાતાં રણશિંગાના કર્કશ અવાજને બદલે લોકોને તો બસ એકબીજા પ્રત્યેની સદભાવનાની સુરીલી શરણાઈઓ જ સાંભળ્યા કરવી છે.

સભ્યતા-સજ્જનતાનાં લીરેલીરાં ઉડાવતી અને સમાજને આઘાતનાં આફ્ટરશૉક્સ આપતી ઘટનાઓ અને એના આરોપીઓ સામેના આક્રોશ બાબતે મીડિયા દ્વારા શરૂઆતમાં અપાતું પ્રશંસનીય લીવરેજ અને કવરેજ એ હદે થતું હોય છે કે જાણે જનજાગૃતિનો જુવાળ આવ્યો જ સમજો અને સમાજની બધી ગંદકી દૂર થાય એ દિવસો હાથવેંતમાં છે. પણ આવું કશું થતું નથી. દુર્ગાશક્તિનો મામલો જે રીતે ચગ્યો છે એ જોતાં લાગે છે કે આજકાલ ક્લાસિકલ મ્યુઝિકનાં કાર્યક્રમોમાં પણ વાદકો અને ગાયકો રાગ દુર્ગા પર વધારે ભાર મૂકતાં હશે. સંસદની સ્પીચમાં શાયરીઓ ઠપકારવાના શોખીન ભ્રષ્ટાચારના ભસ્માસુરોથી માંડીને પોતાને પ્રામાણિકતાનાં પ્રહરી સમજતી હર કોઈ વ્યક્તિ દુષ્યંતકુમારની પેલી પાવરફુલ્લી પૉપ્યુલર પંક્તિઓનો દેશભક્તિના માસિક સ્ત્રાવ વખતે વ્હિસ્પરના સેનિટરી નેપકીનની જેમ ઉપયોગ કરે છે. પણ સમાજની રાની અને રોની સૂરત બદલાતી નથી બલકે હંગામો ખડો કરવાના મકસદ પછી ઊભો થયેલો જુવાળ હંગામી બની જાય છે. સત્યેન્દ્ર દુબેની જેમ ગોબાચારીની પોલ ખોલવા જાય એની જીવન નૈયા ડૂબે છે. ડાહ્યાડમરાં અધિકારીઓની જેમ કામ કરનારાં પાછલી લાઈફમાં શાંતિથી પેન્શન ખાય છે, જ્યારે દુર્ગાશક્તિ જેવા પ્રામાણિક અફસરોને સસ્પેન્શન મળે છે.   

સત્યેન્દ્ર દુબે અને દુર્ગાશક્તિ નાગપાલ : પ્રામાણિકતાનું એક પરિમાણ - કાર્યવાહીનું અલગ પરિણામ !


ફેસબુક પર લેખક જય વસાવડાએ આઘાતથી સ્તબ્ધ ઈમોટિકોન સાથેનું એક સ્ટેટસ મૂક્યું : 

मोडर्न महिषासुरमर्दन : दुर्गा की कर्तव्य शक्ति v/s पाले हुए ज़हरीले नाग ! નાગ એટલે સર્પન્ટ (Serpent) અને દુર્ગાશક્તિ એક સિવિલ સર્વન્ટ છે. એટલે આ લડાઈ પોલિટિકલ સર્પન્ટ અને સિવિલ સર્વન્ટ વચ્ચેની છે. બક્ષીસાહેબે એમની એક નવલકથામાં મિનિસ્ટર અને સિનિસ્ટરની સરસ શબ્દરમત કરી હતી. Sinister એટલે અપશુકનિયાળ. મિનિસ્ટર છે એટલે જ સિનિસ્ટર જેવો લાગે છે. :))

ઍની વે, ભ્રષ્ટાચારનાં આ ભયાનક ભોરિંગ વિશે વધારે લખીને બોરિંગ બનવું નથી. મારા જેવો અદનો અને નાના કદનો નાગરિક રોષ વ્યક્ત કરવા માટે એકાદ કવિતા જેવું લખ્યા સિવાય બીજું શું કરી શકે?  

દુર્ગમ સંજોગોનો સામનો કરી રહેલી દુર્ગાશક્તિ
ભ્રષ્ટાચારમાં ફાળો આપી રહેલા નેતાઓ યથાશક્તિ

આ તો મરજાદી રહેવા ટેવાયેલી પ્રજા છે પ્રજા
અહીં કોઈને ઉપાડવો નથી ક્રાંતિનો ઝંડો કે ધજા

જેણે જેણે અગાઉ ઉપાડી છે આવી ધજા
એની આબરૂના થયા છે ધજાગરા
 ભ્રષ્ટાચારથી મળેલી મીઠી નીંદ ગુમાવીને
અહીં કોઈને પણ કરવા નથી ઉજાગરા

હંગામો ખડો કરવાનો ભલે હોય મકસદ
આખરે તો પ્રામાણિકને મળે છે રુખસદ

અખિલેશ બ્રહ્માંડમાં ભ્રષ્ટાચાર, જૂજવે રૂપે અનંત ભાસે !

2 comments:

  1. ખુબ સરસ લખ્યું. હવે થોડા સમય માં તમારી પણ બુક વાચવા મળે તો નવાઈ નહિ ... પણ સાચે આપડે આવો ઓનલાઈન રોષ ઠાલવ્યા સિવાય કઈ જ ના કરી શકીએ ??? પ્રખર બુદ્ધિજીવીઓ પણ કઈક ઉપાય બતાવે કે હવે શું કરવું ... અહી તો બધાય બોલતા હોય છે કે અમે આ હુમલા ની સખત શબ્દો માં નિંદા કરીએ છે... આ નિંદા કરવા સિવાય બીજું કઈ આવડતું નહિ હોય ???

    ReplyDelete
  2. Thank you Ankit...:)...Nowadays publishing e-books seems easier than getting the book published. so will think in that direction. :)

    ReplyDelete