Tuesday, July 9, 2013

એક જ માળાનાં મણકાં અથવા એક જ સીલિંગના પંખા જેવી સમાનધર્મી કાવ્યપંક્તિઓ

નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.... એમ ઘણીવાર મૂળભૂત સંવેદનાઓ એક જ હોય પણ એને વ્યક્ત કરવાનો અંદાઝ-એ-બયાં અલગ અલગ હોય છે. કવિતા સિવાય આનું બીજું ઉત્તમ ઉદાહરણ કયું હોઈ શકે? કવિતા અંગેની ઘણી ગુજરાતી કૉલમોમાં એક જ વિષય પર અલગ અલગ કાવ્યપંક્તિઓનો રસાસ્વાદ માણ્યો છે. એક જ માળાનાં મણકાં અથવા એક જ ડાળનાં પંખી અથવા એક જ સીલિંગના પંખા જેવી સમાનધર્મી કાવ્યપંક્તિઓ મને થોડી જડી આવી છે એના વિશે આજે લખવું છે. કેટલીક પંક્તિઓ સ્મૃતિઓના આધારે, કેટલીક સભાનપણે શોધી છે,  તો ક્યારેક અમુક કવિઓની રચનાઓમાંથી પસાર થતી વખતે દિમાગમાં બત્તી થાય કે આ મતલબની કોઈ પંક્તિ અન્ય કવિની રચનામાં જુદી રીતે વાંચી ચૂક્યો છું.

(1) વહેવાર :
ગઈકાલ સુધી કોઈને ચાહતાં હો અને કોઈ કારણસર સંબંધોમાં ઓટ આવે ત્યારે પરિસ્થિતિ આખી બદલાઈ જતી હોય છે. બક્ષીબાબુએ ક્યાંક લખ્યું છે કે માણસો જીવનભર એકબીજાને પ્રેમ કરવાના વચનો આપે છે અને પછી "કેમ છો?"નો પણ જવાબ આપતા નથી.

ગઈકાલ જ્યાં પ્રેમ હતો ત્યાં આજે ઔપચારિક ઠાલો વહેવાર થઈ જાય ત્યારે પ્રેમની મધૂરી પાયલના ઝણકારનું સ્થાન પ્રેમ વિના બંધન જેવી લાગતી  સાંકળના રણકારે લીધું છે એ વાત બરકત વીરાણી 'બેફામ; બખૂબી વ્યક્ત કરે છે:


વહેવાર નિહાળું છું આજે, ગઈકાલ સુધી જ્યાં પ્યાર હતો;
રણકાર સૂણું છું સાંકળનો જ્યાં પાયલનો ઝણકાર હતો

આજ વાત આપણાં ગઝલ શિરોમણિ મરીઝ કંઈક અલગ રીતે કરે છે. બેફામે તો પ્યાર ગુમાવ્યા પછીની બદલાયેલી પરિસ્થિતિમાં પ્યારને બદલે વહેવાર નિહાળ્યો, જ્યારે મરીઝ એથી પણ આગળ વધીને કહે છે પ્રેમ ન મળ્યો એ તો ઠીક, પણ પ્રેમ પામવા ગયો એમાં જે થોડોઘણો પહેલાં વહેવાર પણ ચાલતો હતો એનો માર્ગ પણ બંધ થઈ ગયો. પ્રિય પાત્રને પામી ન શક્યાની નિરાશા કરતાં એની સાથેનો ઔપચારિક સંપર્ક ગુમાવવાની નોબત આવી એનું દુ:ખ આ શેરમાં વ્યક્ત થાય છે:

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો;
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

(2) રોગ - દરદ - સારવાર:

વ્યક્તિની સાચી સમસ્યાના મૂળ સુધી જઈને નિદાન કર્યા વિના આડેધડ સલાહ-સારવાર આપ્યા કરતાં સમાજને અર્પણ કરવાનું મન થાય એવી કેટલીક પંક્તિઓનું ચયન કર્યું છે.

ઈલાજ કરી શકાય એવા રોગોની સાથે સાથે માણસને લાઈલાજ કરીને લાચાર બનાવી દે એવા રોગો પણ હોય છે. જેનું સચોટ નિદાન કરવું તબીબોના ગજાની વાત હોતી નથી. રોગ પણ બહુ લાંબા સમયથી કોઠે પડી જાય ત્યારે દર્દીને પણ કદાચ એ રોગ પ્રત્યે રાગ થઈ જતો હશે.

દરદનો પરિચય અને દવાની ઓળખાણ ધરાવતાં અનોખી લાગવગવાળાં 'શૂન્ય' બેધડક કહી દે છે:
 
તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે


કવિ અનિલ ચાવડાની જેમ ખુમારીથી જો સારવાર ઠુકરાવતાં આવડતું હોય તો રોગની પસંદગીની બાબતમાં પણ વ્યક્તિ સ્વાવલંબી બની શકે છે જે દાસ્તાન-એ-ડિસીઝ અનટ્રીટેબલ એટલે કે ઉપચાર ન થઈ શકે એવા રોગની દાસ્તાન બખૂબી વર્ણવે છે :

જાતે જ પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
હું શું કરું તમારી આ સારવાર લઈને?


આવી જ લાગણીનો પડઘો પાડતાં એક શેરમાં કવિ અમૃત ઘાયલ પણ સમગ્ર અસ્તિત્વને ઘેરી વળેલા લાઈલાજ રોગ સામે હાથ ઊંચા કરીને કહી દે છે:  

એક જગાએ દર્દ હો તો થાય કંઈ એની દવા !
હોય જો રગરગ મહીં અંગાર, કોઈ શું કરે !

તબીબો પાસેથી દિલની દવા લઈને નીકળ્યાં પછી નવાં જખ્મો આપવા ટાંપીને બેઠેલાં જગતનો સામનો કરવા મને-કમને સજ્જ થયેલાં 'બેફામ'નું જીવન પ્રહાર સામે ઝીંક ઝીલવામાં અને અને સારવારથી શાતા મેળવવામાં વીતે છે:

અડધું જીવન વીત્યું છે જગતના પ્રહારમાં;
બાકી છે એ વીતે છે હવે સારવારમાં. 

(3) સમુદ્રમંથન: 

દેવો અને દાનવો વચ્ચે સમુદ્રમંથનમાં અમૃત પામવાની હોડ જામી હતી એ પ્રસંગથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. અમૃત તો જેના ભાગે આવવાનું હશે ત્યારે આવશે, પરંતુ જગતમાં ઝેર પ્રસરી ન જાય એ માટે શંકર ભગવાને પોતે ઝેર ગળે ઉતારી ગયાં.

આ પ્રસંગને અનુલક્ષીને આજની માણસ-માણસ વચ્ચેની તણાવથી ભરેલી વેરઝેરવાળી પરિસ્થિતિ જોઈને ઘાયલ પ્રશ્ન કરે છે :

સમુદ્રમંથન કરી જનારા, જવાબ દે આ સવાલ કેરો!
ગયું હતું પી કોઈ તો ક્યાંથી, હળાહળ આવી ભળ્યું જીવનમાં?


આ શેરનો જવાબ શૂન્ય પોતાની આગવી રીતે સવા-શેરમાં આપે છે:

શંકર પી ન શક્યાં બધું તેથી,
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ...

(4) અસ્તિત્વ:
न था कुछ, तो ख़ुदा था, कुछ न होता तो ख़ुदा होता
डूबोया मुझ को होने ने, न होता में तो क्या होता....

મિર્ઝા ગાલિબનાં આ શેરનાં દીપક સોલિયાએ એમના એક લેખમાં આપેલી સમજૂતીના શબ્દો ઉધાર લઉં તો, "મારી પાસે આ નામ -રૂપ-શરીર-ઓળખ નહોતાં ત્યારે હું ઈશ્વર-ચેતના-આત્મા જ હતો, કંઇ ન હોત તો હું ભગવાન હોત. આ તો જન્મ થયો, અસ્તિત્વ મળ્યું એમાં હું ડૂબ્યો, બાકી જો ‘હું’ હોત જ નહીં તો શું હોત! ચેતના પર શરીર, ઓળખ, અસ્તિત્વના આવરણો લપેટાવાને કારણે આપણે ઈશ્વરત્વ ‘ગુમાવી’ બેસીએ છીએ, બાકી તો આપણે ઈશ્વર જ છીએ." (Link: http://www.divyabhaskar.co.in/article/100109125109_classic_dipak_soliya.html)

ગુજરાતીમાં મને અમૃત ઘાયલનો આ એક શેર મિર્ઝા ગાલિબના ઉપરોક્ત શેરની સાથે સામ્યતા ધરાવતો લાગે છે :

હું કંઈ નથી, તો કેમ નથી? હું છું તો કોણ છું?
આખર કઈ વિસાતમાં મારી વિસાત છે?

(5) નિર્ભયતા-બેફિકરાઈ-અલિપ્તતા:

પારાવાર દુ:ખદર્દો નિર્લેપભાવે સહન કરીને માણસ એક એવી પરિસ્થિતિ પર પહોંચી શકે છે જ્યાં વધુ દુ:ખદર્દોથી મનમાં ગ્લાનિનું એકપણ સ્પંદન આવતું નથી. ગાલિબનો એક શેર છે:

रंज से ख़ूगर हुआ इन्सां तो मिट जाता है रंज।
मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं।


આવી જ લાગણીનો પ્રાદેશિક પડઘો પાડતાં શેરમાં ઘાયલ કહે છે કે ભયની પરિસ્થિતિમાં સતત ફેંકાતા રહેવું અને એનો સામનો કરવો એ જ નિર્ભય બનવાની ગુરૂચાવી છે: 

છે એટલી ફિકર કે જાણે નથી ફિકર કંઈ
નિર્ભય બની ગયો છું આવી અનેક ભયમાં

(6) આંધળો પ્રેમ: 

પ્રેમમાં પડ્યા પછી પ્રેમીપાત્રથી એક ક્ષણનો પણ અલગાવ ગમતો નથી અને સતત એનું સાંનિધ્ય ઝંખતા રહેવાનો તલસાટ વધી જાય છે; ગેરહાજરીમાં પણ પ્રિયપાત્રની હાજરી દેખાતી હોય ત્યારે બેફામનો એક શેર યાદ આવે છે:
વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે;
તું નયન સામે નથી તોપણ મને દેખાય છે

રૂપ એ યુવકને યુવતીના પ્રેમમાં પાડવા માટેની રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપકનું કામ કરે છે? રૂપ જોઈને આંખો ચકાચૌંધ થઈ ગયા પછી પ્રેમને આંધળો કહેનારા લોકોની વાતને સાચી ઠેરવતાં બેફામ કહે છે: 

પ્રણયને જે કહે છે આંધળો એ લોક સાચાં છે,
તમારું રૂપ જોયું એ પછી ન્હોતી રહી આંખો

(7) દ્વાર પર ટકોરા:
મદદની તાતી જરૂર હોય ત્યારે બધાં પરિચિતો મોં ફેરવી લે, હાથ ઊંચા કરી દે અને આપણી મુશ્કેલી પ્રત્યે આંખ આંડા કાન કરી દે ત્યારે કેવી લાગણી થાય એ બેફામનાં એક શેરમાં જુઓ:

બધાનાં બંધ ઘરનાં દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તૂટેલાં ટેરવાં લઈને

આ જ પ્રકારનો મરીઝનો એક વિખ્યાત શેર છે. બેફામે દ્વાર ખખડાવવાની કોશિશ કરી જોઈ અને તૂટેલાં ટેરવાં લઈને પાછાં ફર્યાં. જ્યારે મરીઝને તો દ્વાર ખખડાવવામાં પણ એટલો સંકોચ થાય છે કે સંકોચવશ દ્વાર એમનાં ટકોરાનાં ટંકાર વિના કોરું રહી જાય છે:

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે

કવિ ભાવેશ ભટ્ટ રોજીંદી બોલચાલના રદ્દીફનો ઉપયોગ કરીને આ જ વાત જુદી રીતે કરે છે:

એક સરખા ટકોરા ભલે હોય પણ
દ્વાર સૌના ખૂલે! એવું ના હોય બે  

No comments:

Post a Comment